ઉત્તરપ્રદેશનાં અલીગઢમાં માત્ર ર.પ વર્ષની માસૂમ બાળકીની નિર્મમ અને ક્રૂર હત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. એક ર.પ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરી તેની લાશને કચરામાં ફેંકી દીધી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બાળકીની હત્યાને લઇને દુઃખ વ્યક્ત કર્યું.
આટલી ઘૃણાસ્પદ અને ભયાનક ઘટના પાછળનું કારણ માત્ર રૂ.૧૦,૦૦૦ છે. મૃત બાળકીના પિતાએ રૂ.૧૦૦૦૦ ઉછીના લીધા હતા અને તેને ચૂકવી નહીં શકતા આરોપીઓએ તેમની બાળકીનું અપહરણ કર્યું હતું અને ત્રણ દિવસ બાદ તેમના ઘરની નજીકની કચરાપેટીમાંથી બાળકીની લાશ મળી આવી હતી.
પી.એમ. રિપોર્ટ અનુસાર ર.પ વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા કરાઇ હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અલીગઢના ટપ્પલ વિસ્તારમાં થયેલી બાળકીની હત્યા અંગે પોલીસે જણાવ્યું છે કે અમે આ મામલાની તપાસ રાષ્ટ્રીય સુરક્ષાધારા હેઠળ કરીશું અને આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં મોકલીશું.
આ ઘટના બે કોમને લગતી હોઇ અલીગઢમાં ઘટનાસ્થળની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તહેનત કરી દેવાયાં છે. બાળકીના પિતા બનવારીલાલ શર્માની ફરિયાદ પરથી જાહિદ અને અસલમ નામની બે વ્યક્તિની ધરપકડ કરાઇ હતી.
આરોપીઓની પૂછપરછ દ્વારા જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ બાળકીના પિતા પાસે રૂ.૧૦,૦૦૦ માગતા હતા અને તેની લેવડદેવડને લઇને ઝઘડો થયો હતો. પોલીસના જણાવ્યાનુસાર પી.એમ. રિપોર્ટમાં બાળકી સાથે રેપ થયો છે એવું બહાર આવ્યું નથી. તેનું ગળું દબાવી હત્યા કરાઇ છે. આ ઘટનાને લઇને સમગ્ર દેશમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો છે. સામાન્ય માનવીથી લઇને ફિલ્મ અભિનેતા, અભિનેત્રીઓએ આ ઘટના પર ભારે રોષ વ્યક્ત કર્યો છે.