મુંબઇમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાસન રત્ન એવોર્ડથી સન્માનીત કરાયાં છે. શ્રીમદ રાજચન્દ્ર મિશનના સંસ્થાપક ગુરૂદેવ રાકેશભાઇના હસ્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીને શાસન રત્ન એવોર્ડથી સન્માનીત કરાયાં છે. ધરમપુરના એનીમલ નર્સિંગ હોમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
હજારો મુમુક્ષઓની હાજરીમાં અપાયો એવોર્ડ
ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં વરલી ખાતે યોજાયેલા આ સમારોહમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ તથા શ્રીમતી અંજલિબહેન રૂપાણી સહિત હજારો મુમુક્ષુઓ ખાસ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે શ્રીમદ રાજચન્દ્ર મિશન દ્વારા ધરમપુરમાં નિર્માણ થયેલા એનિમલ નર્સીગ હોમનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરેલ. તેમણે ગુરૂદેવ રાકેશભાઇના પુસ્તક ‘ભગવાન મહાવીરના મંગલમય સિધ્ધાંતો’ના હિન્દી-ગુજરાતી-અંગ્રેજી સંસ્કરણ અને CDના વિમોચન પણ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, ‘‘અહિંસા પરમોધર્મ’’ની ભાવના સાથે ધીમે-ધીમે રામરાજ્યનું નિમાર્ણ થવા જઇ રહયું છે, ત્યારે શ્રધ્ધા સાથે આપણે સૌ સાથે મળીને આ કાર્યમાં જોડાઇએ.
શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ : CM રૂપાણી
શ્રીમદ રાજચંદ્ર અંગે જણાવતા મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, શ્રીમદ રાજચંદ્રએ મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરૂ હતા. અહિંસાની કલ્પના શ્રીમદ રાજચંદ્રના દરેક બોધમાં રહેલી છે. મહાત્મા ગાંધીજીએ અહિંસાના સિધ્ધાંતને જીવનમંત્ર બનાવ્યો હતો તેના મૂળમાં શ્રીમદ રાજચન્દ્રજીનો પ્રભાવ રહ્યો હતો.