ચોમાસાને ધ્યાનમાં રાખએ તો અત્યારે વરસાદની લા-નીનો પેટર્ન જોવા મળી રહી છે જેને પગલે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતોને આ વખતે પણ ખેતીમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 50 લાખ હેક્ટરમાં ખરીફ પાકના વાવેતર પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
50 લાખ હેક્ટરથી વધુમાં વિનાશ
20.38 લાખ હેક્ટરમાં મગફળીનો પાક ફેલ
22.16 લાખ હેક્ટરમાં કપાસનો ઉભો પાક બળી ગયો
જગતના તાત ખેડૂતને કોરોનાની મહામારીનો માર પડ્યો અને તે બાદ આ વરસાદે તેમની રહી સહી આશા ઉપર પણ પાણી ફેરવી દીધુ છે. ગુજરાતમાં જુલાઈના અંત સુધીમાં કુલ 70.28 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યુ હતુ. ત્યારે ઓગસ્ટમાં વરસી રહેલો વરસાદ પાકનો વેરી બન્યો છે જેને કારણે 50 લાખ હેક્ટર પર વાવેલો પાક ફેલ ગયો છે. ગુજરાતમાં પાકના વાવેતરના તુરંત બાદ વરસાદી પાણી ફરી વળ્યા છે. આવો ત્યારે જાણીએ ક્યાં કેવી તારાજી?
50 લાખ હેક્ટરથી વધુનો પાક ફેલ
20.38 લાખ હેક્ટરમાં મગફળીનો પાક ફેલ ગયો છે જ્યારે 22.16 લાખ હેક્ટરમાં કપાસનો ઉભો પાક બળી ગયો છે. આ સિવાય તલ, સોયાબીન સહિતના તેલિબિયાના પાકોને નુકસાન થયું છે જ્યારે ઉભી મકાઈ અને બાજરી પણ બળી ગઈ છે. એ સિવાય કઠોળના પાકને પણ લીલો દુકાળ ભરખી ગયો છે. 5 લાખ હેક્ટરમાં ડાંગરનો પાક હતો જેમાં પણ સતત પાણી મૂળિયા કવાઈ ગયા છે.
ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે: નીતિન પટેલ
ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં શરૂઆતમાં સારો વરસાદ પડ્યો હતો. જોકે બાદમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોને જે પણ નુકસાન થયું છે. તેનું વળતર આપવામાં આવશે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે થશે અને નુકસાન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય કરવામાં આવશે.
ખેડૂતોને તો માત્ર 27000 જ મળી શકે : પાલ આંબલિયા
ગુજરાતમાં ડાંગરના પાકને 50 ટકા નુકસાન પહોંચ્યુ છે જ્યારે બીજા કઠોળ અને તે સાથેના ધાન્ય પાકોનું તો નિકંદન નીકળી ગયુ છે. આ મામલે ખેડૂત નેતા પાક આંબલિયાએ જણાવ્યું હતુ કે, જગતના તાત સમાન ખેડૂતોને આ વરસાદે રાતા પાણીએ રોવડાવ્યો છે ત્યારે સરકાર દ્વારા તેમને યોગ્ય સર્વે કે સહાય મળે તો તેમને કામનું બાકી ખેડૂતોએ જે બિયારણમાં રૂપિયા રોક્યા છે તે પણ મળી શકે તેમ નથી. સરકાર જો સર્વે કરશે અને નુકસાનીમાં નોંધશે તો પણ હેક્ટર દિઠ 13,500 રૂપિયા જ ચુકવશે એમાંય એક ખેડૂતને 2 હેક્ટરથી વધારને પૈસા નહીં ચુકવે એટલે કે ખેડૂતોને તો માત્ર 27000 જ મળી શકે જેમાં તેમને કંઈ મળેજ નહીં અને પાક તો ફેલ ગયો છે. એટલે નુકાસન થાય. વળી ડાંગર સિવાયના તમામ પાકના મૂળિયા બળી ગયા છે. અને ડાંગરમાં પણ 50 ટકા પાક ફેલ છે.
જુલાઈ મહિનામાં ખરીફ પાકની વાવણી
ગુજરાતમાં ખરીફ વાવેતરની સ્થિતિ ઝોન વાઈઝ જોઈએ તો ઉત્તર ગુજરાત 12.15 લાખ હેક્ટર, મ.ગુજરાતમાં 12.28 લાખ હેક્ટર, સૌરાષ્ટ્રમાં 37 લાખ હેક્ટર, દક્ષિણ ગુજરાતમાં 5 લાખ હેક્ટર, કચ્છમાં 3.79 લાખ એમ કુલ 70.28 લાખ હેક્ટરનું વાવેતર થઈ ચુક્યુ છે. પાક વાઈઝ જુલાઈ સુધી વાવેતર જોઈએ તો ડાંગર 5 લાખ હેક્ટર, બાજરી 1.67 લાખ, મકાઇ 2.73 લાખ હેક્ટર, તુવેર 1.93 લાખ, મગફળી 20.38 લાખ હેક્ટર, તલ 1.19 લાખ હેક્ટર, સોયાબીન 1.47 લાખ હેક્ટર અને કપાસ 22.16 લાખ હેક્ટરમાં હતુ.