કોવિડ-19ના ચક્કરમાં શહેરોમાંથી રોજગારી ગુમાવીને પોતાના વતન તરફ ભાગી રહેલા શ્રમિકોને રોજગારી આપવા માટે આજે ફરી એકવાર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના(મનરેગા) પર વિશ્વાસ મુક્યો છે.
સરકાર મનરેગા દ્વારા આપશે લોકોને રોજગાર
નાણામંત્રીએ આજે કરી જાહેરાત
કોંગ્રેસ સરકારના સમયમાં શરૂ કરાઇ હતી આ યોજના
એક રીતે જોઇએ તો આ યોજના પ્રવાસી મજૂરોને રાહત આપવા માટેનું સૌથું માટું માધ્યમ હોવાની સાબિત થઇ છે. જો કે, એક વાત ઉડીને આંખે વળગે તેવી છે કે, આ યોજના કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં શરૂ કરવામાં આવી હતી અને નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ તેમણે સંસદમાં આ યોજના બંધ કરવાની વાત ઉચ્ચારવામાં આવી હતી.
નાણામંત્રીની મોટી જાહેરાત, મનરેગાથી મળશે રોજગાર
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આજે રાહત પેકેજ સાથે જોડાયેલી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પોતાના રાજ્યમાં પરત ફરતા મજૂરોને સરકાર મનરેગાના માધ્યમથી રોજગાર પૂરો પાડશે. જોવા જઇએ તો કામ સોંપવાની શરૂઆત થઇ ચૂકી છે. તો અત્યાર સુધીમાં 50 ટકા જેટલા રજીસ્ટ્રેશન પણ વધી ગયા છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ગઇકાલ સુધી 1.87 લાખ ગ્રામ પંચાયતોમાં 2.33 કરોડો લોકોને કામ આપવામાં આવ્યું છે. જે ગત વર્ષની તુલનામાં 40 થી 50 ટકા વધારે રજિસ્ટ્રેશન પ્રમાણે છે. નોંધનીય છે કે, પહેલા 182 રૂપિયા મજૂરી ચૂકવવામાં આવતી હતી. જે હવે વધારીને 202 રૂપિયા કરવામાં આવ્યા છે.
રાજ્યોને કામ સોંપવાનું કહેવામાં આવ્યું છે
નાણામંત્રી સીતારમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ યોજના અંતર્ગત પરપ્રાંતિય મજૂરોને કામ પુરૂ પાડવાનું કહેવામાં આવ્યું છે. મજૂરોના ઘરે પરત આવવાની ઘટનાને ધ્યાનમાં રાખીને આગામી ચોમાસા દરમિયાન મનરેગા અંતર્ગત કેટલાક વિશેષ કામગીરી માટે કામ ચાલી રહ્યું છે. ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ, બાગાયત અને અન્ય સંબંધિત કાર્યોમાં રોજગાર અપાશે.
મોદી સરકારના મંત્રીએ કહ્યું હતું કે, મનરેગા ટૂંક સમયમાં બંધ કરાશે
કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલયની સાથો-સાથ કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રાલયની જવાબદારી સંભાળી રહેલા નરેન્દ્ર સિંહ તોમરે ગત વર્ષે જુલાઇ માસમાં લૉકસભામાં એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, મોદી સરકાર મનરેગાને લાંબા સમય સુધી ચલાવવાનું વિચારી રહી નથી. તેમણે કહ્યું હતું કે, મનરેગા ગ્રામીણ ગરીબોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે પરંતુ મોદી સરકારનું લક્ષ્ય ગરીબી હટાવવાનું છે.