ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદ રહેશે. 3 દિવસ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 19-20 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 20-21 ઓગસ્ટ ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. 20-21 ઓગસ્ટ સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. તો 18 ઓગસ્ટથી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ખેડૂતોના પાકને વરસાદ આવશે તો પાક બચશે. વરસાદની સંભાવનાથી પાણીની સમસ્યા ઉકેલાય તેવા એંધાણ પણ લગાવવામાં આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રના કેટલાક પંથકમાં મેઘની મહેર
સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં ખેડૂતોને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. જેને લઈ મગફળી,સોયાબીન જેવા પાકોને નવજીવન મળશે. વરસાદ આવતા ધરતીપુત્રોમાં ઉત્સાહ આવ્યો છે. અગાઉ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.
વરસાદની રાહે સુરત જિલ્લાના ખેડૂતો
સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધાર રાખે છે અને જિલ્લાભરના ખેડૂતો કપાસ, મગફળી, તલ, એરંડા, ઘાસચારો અને શાકભાજીના સહિતના પાકોનું વાવેતર કરે છે. જેમાં ચાલુ વર્ષે ખેડૂતોએ અંદાજે 4.66 લાખ હેકટર જમીનમાં વાવેતર કર્યું છે. ચોમાસાની સીઝનમાં શરૂઆતમાં વરસાદ પડતા ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતરનો ઉપયોગ કરી તનતોડ મહેનત કરી વાવણી કરી નાખી હતી. પરંતુ ત્યારબાદ લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે. વરસાદની રાહમાં ખેડૂતો બે થી ત્રણ વખત વાવેતર કરી ચૂક્યા છે. ત્યારે ચાલુ વર્ષે ખેતીલાયક વરસાદ ન પડતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.