આ વર્ષે ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ તે પ્રતિ કલાક 10થી 15કિમીની ઝડપે પવન ફૂંકાશે.
આ વર્ષે ઉત્તરાયણમાં રહેશે સારો પવન
પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન
આગામી દિવસોમાં ઠંડી રહેશે યથાવત
ઉત્તરાયણનો તહેવાર કેવો રહેશે તેનો આધાર પવનની ગતિ પરથી નક્કી થાય છે. જો પવન સારો તો ઉત્તરાયણ સારી પરંતુ જો પવન જ ન હોય તો ઠુમકા મારી મારીને હાથ દુખાડવાનો વારો આવે છે. જો કે આ વર્ષે તમારે બહુ ઠુમકા નહી મારવા પડે. કારણ કે હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વર્ષે ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેશે.
ઠુમકા ન મારતા ઢીલ જવા દેજો
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ કે આ વર્ષે પ્રતિ કલાક 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગ રસિયાઓએ ઠુમકા નહી મારવા પડે. સડસડાટ પતંગ ચગી જશે. અમદાવાદ શહેરમાં પ્રતિ કલાકે 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. તેમજ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યાછે જેથી ઉત્તરાયણના દિવસે પુરતા પ્રમાણમાં પવન રહેતા પતંગ ચગાવવામાં તકલીફ નહી પડે.
પણ સ્વેટર પહેરવાનું ન ભૂલતા
રાજ્યમાં હાલ શીત લહેર છવાઇ ગઇ છે. ઠંડા પવનો સાથે ગુજરાત ઠંડુગાર બન્યુ છે. ત્યારે આગામી દિવસોમાં પણ આવી જ ઠંડી યથાવત રહેશે તેમ હવામાન વિભાગ જણાવી રહ્યુ છે. ફિરકી અને પતંગ સાથે ગોગલ્સ અને ટોપી પહેરીને ધાબે ચઢી જજો પરંતુ સ્વેટર લેવાનું ન ભૂલતા.
કરુણા અભિયાન શરૂ
ઉત્તરાયણનો તહેવાર આવે એટલે મુક્ત મને આકાશમાં વિહાર કરતા પંખીઓ માટે જોખમી દિવસ. કારણ કે પતંગ રસિયાઓ બે દિવસ તો ધાબેથી ઉતરવાના જ નથી. આ દિવસોમાં પક્ષીઓવધુ પ્રમાણમાં દોરી વાગવાથી ઘાયલ થાય છે. જેને લઇને 108 દ્વારા ઉત્તરાયણ પર્વ પર કરુણા અભિયાન શરુ કરવામાં આવ્યુ છે. જીવદયાને લઇને પણ 108 દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
ઘાયલ પશુ-પંખીની સારવાર માટે 1962 પર કોલ કરો
ઉત્તરાયણના પર્વ પર માણસોની સાથે સાથે પશુ પંખીઓ પણ દોરીથી ઘાયલ થવાના બનાવ વધી જાય છે. જેથી 108 દ્વારા એક હેલ્પલાઇન નંબર 1962 જાહેર કરવામાં આવ્યો છે. જો પશુને હાનિ પહોંચે તો 1962 પર કોલ કરવા અપીલ કરવામાં આવી છે. એનિમલ હેલ્પલાઇન પર 800 થી 1000 કોલ આવે છે. પરંતુ ઉત્તરાયણમાં 1400 કોલ આવવાની સંભાવના છે. જ્યારે પક્ષીઓને ઇજાના 800 જેટલા કોલ આવવાની સંભાવના છે. તમામ કોલને પહોંચી વળવા માટે મોટા શહેરોમાં 37 એમ્બ્યુલન્સ અને 51 મોબાઇલ વેટરનરી કાર્યરત કરવામાં આવી છે.