આવતીકાલે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગના પ્રશ્નોને લઈને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
મહેસૂલ મંત્રીની આગેવાનીમાં મળશે બેઠક
રાજ્યના તમામ કલેક્ટરોને ગાંધીનગરનુ તેડુ
3 મહિના બાદ યોજાઈ રહી છે રીવ્યૂ બેઠક
ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગના પ્રશ્નોને લઈને સરકાર એક્સન મોડમાં આવી છે. જેના ભાગરૂપે આવતીકાલે ગાંધીનગર ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના કલેક્ટરોને ગાંધીનગરનું તેડું મોકલાયું છે. બેઠકમાં તમામ જિલ્લાઓના મહેસૂલ વિભાગ અંગેના પ્રશ્નોની ચર્ચા કરાશે અને અરજદારોને વધુમાં વધુ શું રાહત આપી શકાય તે બાબતે વિચારણા કરવામાં આવશે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાની બેઠક યોજાશે
આવતીકાલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે મિટિંગ યોજાશે. જે ને પગલે તમામ જિલ્લાઓના કલેકટરને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ત્રણ મહિના બાદ આ રીવ્યૂ બેઠક યોજાઇ રહી છે. આ બેઠકમાં રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાની હઠળ મહેસૂલ વિભાગના પ્રશ્નો અંગે કલેક્ટરો સાથે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે જિલ્લાઓના કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાયા બાદ મહેસૂલ વિભાગની કામગીરીમાં નાગરિકોને સરળતા રહે તે માટે વિચારણા કરી રાહતરૂપ નિર્ણય કરવામાં આવે તો નવાઈ નહિ!
તાજેતરમાં જ સરકારે 7/12ના ઉતારામાં કર્યા છે ધરખમ ફેરફાર
ગુજરાત સરકારે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા તાજેતરમાં જ પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જેમાં જણાવ્યું હતું કે, હવે નવી-જૂની શરતના ઊભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થઇ જશે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 7/12ના ઉતારામાં ધરખમ ફેરફાર કર્યો છે. જે અંતર્ગત ખેડૂતોને હવે 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે.
ખેડૂતો બારકોડ સ્કેન કરીને ઘરે બેઠાં જ 7/12ની નકલ મેળવી શકશે
ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધુ સરળતાથી હલ થઇ જશે. એટલે કે મહેસૂલ વિભાગના રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 7/12ના ઉતારાની નકલમાં મોટો ફેરફાર કરાયો છે. જે અંતર્ગત હવેથી ખેડૂતોને નવી 7/12ની નકલ બારકોડવાળી મળી જશે. જેમાં ખેડૂતો બારકોડ સ્કેન કરીને ઘરે બેઠાં જ 7/12ની નકલ મેળવી શકશે. આ નકલમાં જમીનનો નકશો અને ક્ષેત્રફળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના ખેડૂતલક્ષી હકારાત્મક નિર્ણય બાદ હવે ખેડૂતોએ વારંવાર 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે. જો કે, તમને જણાવી દઇએ કે, આ કામગીરીની શરૂઆત આણંદ જિલ્લાથી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં નવા ફેરફાર સાથે આ કામગીરી શરૂ કરી દેવાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ તથા વહીવટમાં પારદર્શિતાના મહત્વપૂર્ણ જનહિતકારી નિર્ણયો કર્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, મહેસૂલી વહીવટમાં સરળીકરણની ભલામણો માટે રચાયેલી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદ્દઅંશે સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
અગાઉ કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાથી પ્રશ્નો ઉદ્ઘવતા હતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ-ગવર્નન્સ-સુસાશનની આગવી પરિપાટીને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે. અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતું અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખૂબ વિલંબ થતો હતો.