મહારાષ્ટ્ર ચૂંટણી માટે નાગપુરમાં એક જનસભાને સંબોધતા બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે, તેઓ પણ બાબા સાહેબ આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે.
બૌદ્ધ ધર્મની અનુયાયી બનવા માટે હું પણ ભીમરાવ આંબેડકરની જેમ દીક્ષા લઇશઃ માયાવતી
યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશેઃ માયાવતી
નાગપુરમાં પોતાની સભા દરમિયાન માયાવતીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાના દેહાંતના થોડા સમય પહેલા પોતાનો ધર્મ પરિવર્તન કર્યો હતો. તમે લોકો મારા ધર્મ પરિવર્તન વિશે પણ વિચારતા હશો. હું પણ બૌદ્ધ ધર્મની અનુયાયી બનવા માટે દીક્ષા જરૂર લઇશ પરંતુ એ ત્યારે થશે જ્યારે તેનો યોગ્ય સમય આવે. એવું ત્યારે થશે જ્યારે સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં લોકો આવું ધર્માંતરણ કરે. ધર્માંતરણની આ પ્રક્રિયા પણ ત્યારે જ સંભવ છે જ્યારે બાબા સાહેબના અનુયાયીઓ રાજકીય જીવનમાં પણ તેમના બતાવેલા રસ્તે અનુસરણ કરે.
RSS પ્રમુખના હિન્દુ રાષ્ટ્ર નિવેદનથી સહમત નથી
માયાવતીએ કહ્યું કે, તેમની પાર્ટી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પ્રમુખના હિન્દુ રાષ્ટ્ર નિવેદનથી સહમત નથી. બાબા સાહેબ આંબેડકરે સેક્યુલારિઝમના આધારે સંવિધાન બનાવ્યું હતું. તેમણે ધર્મનિરપેક્ષતાના આધારે તમામ ધર્મના લોકોનું ધ્યાન રાખ્યું હતું. આરએસએસ પ્રમુખે આ પ્રકાના નિવેદન આપતા પહેલા સચ્ચર સમિતિનો રિપોર્ટ વાંચવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે વિજયાદશમીના પ્રસંગે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખે કહ્યું હતું કે ભારત હિંદુ રાષ્ટ્ર છે અને અહીંના મુસ્લિમો ખુબ ખુશ છે.
ભીમરાવ આંબેડકરે 1956માં લીધી હતી બૌદ્ધ ધર્મની દીક્ષા
સંવિધાનના નિર્માતા બાબા સાહેબ આંબેડકરે 14 એપ્રિલ 1956માં નાગપુરની દીક્ષાભૂમીમાં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. ભીમરાવ આંબેડકરને 1942માં ભારત આવીને વસેલા બૌદ્ધ ભિક્ષ પ્રજ્ઞાનંદે સાત ભિક્ષુઓની સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. દીક્ષા લીધાના થોડા મહિના બાદ જ 6 ડિસેમ્બરે 1956માં ભીમરાવ આંબેડરનું નિધન થયું હતું.