રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ હવે નજીક આવતી જાય છે અને બંને ધડા તરફથી પ્રચાર થઈ રહ્યો છે. આ તમામની વચ્ચે એનડીએ તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુની જીતની સંભાવના મજબૂત છે, કારણ કે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ એનડીએની સ્થિતિ વધારે મજબૂત થઈ ગઈ છે.
દ્રૌપદીની જીતની સંભાવના વધારે
મમતા બેનર્જીએ કહ્યું કે, જો ભાજપે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા વિપક્ષ સાથે ચર્ચા કરી હોત તો વિપક્ષી પાર્ટી પણ તેમને સમર્થન આપવા પર વિચાર કરી શક્યા હોત. તેમણે કહ્યું કે, એક સામાન્ય સહમતિવાળા ઉમેદવાર હંમેશા દેશ માટે સારા સાબિત થાય છે.
બંગાળના મુખ્યમંત્રીએ એક રથયાત્રા કાર્યાક્રમમાં કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂપાસે મહારાષ્ટ્રના ઘટનાક્રમના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાની વધારે સંભાવનાઓ છે. જો ભાજપે મુર્મૂના નામની જાહેરાત કરતા પહેલા અમારી પાસે સલાહ માગી હોત, તો અમે પણ વ્યાપક હિતોને ધ્યાનમાં રાખીને તેના પર વિચાર કરી શકતા હતા.
ભાજપ પહેલા બતાવતી તો...
ટીએમસીના પ્રમુખે કહ્યું કે, તેઓ વિપક્ષી પાર્ટીઓના નિર્ણય મુજબ જ ચાલશે, પણ તેમણે કહ્યું કે, આદિવાસી સમાજ પ્રત્યે તેમના મનમાં ખૂબ જ સન્માન છે, જો ભાજપ પહેલા આ વાત જણાવતી કે એક આદિવાસી મહિીલા ઉમેદવાર રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે,, તો તમામ વિપક્ષી પાર્ટી એકમત થઈને તેમના પર વિચાર કરી શકતા હતા. ભાજપ અમારી પાસે સલાહ સૂચન પણ માગી શકતી હતી, પણ તેમણે એવું કર્યું નહીં.