મહારાષ્ટ્રમાં શિવસેનામાં મોટી ઉથલપાથલના એંધાણની શક્યતાઓ નજરે પડી રહી છે. એકનાથ શિંદે શિવસેનાના કેટલાક નારાજ ધારાસભ્યોને લઇને ગુવાહાટી પહોંચી ગયા છે. આ વચ્ચે વધુ એક માહિતી સામે આવી રહી છે.
મહારાષ્ટ્રના ધારાસભ્યોના બળવાના કારણે ઉદ્ધવ સરકાર સંકટમાં
મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીને નવી ફોર્મૂલા આપી. માનવામાં આવી રહ્યું છે કે, પવારે કહ્યું કે, એકનાથ શિંદેને મુખ્યમંત્રીબનાવી દેવામાં આવે તો આના પર કોઈ વાંધો નથી. શરદ પવાર અને કોંગ્રેસે એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની સલાહ આપી છે.
સૂત્રોનું કહેવું છે કે, એનસીપી અને કોંગ્રેસે કહ્યું છે કે, એકનાથ શિંદેને જો મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેમને કોઇ વાંધો નથી. જોકે, નિર્ણય ઉદ્ધવ ઠાકરેને કરવાનો છે. એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ગુવાહાટી ગયેલા શિવસેનાના કેટલાક ધારાસભ્યો પરત આવવા તૈયાર છે. તેઓ NCP, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓના સંપર્કમાં છે.
એકનાથ શિંદે આજે કરી શકે છે દાવોઃ સૂત્ર
એકનાથ શિંદે પાસે કુલ 49 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે. શિવસેના અને અપક્ષ સહિત કુલ 49 ધારાસભ્યોનું શિંદેને સમર્થન છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, એકનાથ શિંદે આજે દાવો કરી શકે છે. શિવસેનાના 17 સાંસદ પણ શિંદેના સંપર્કમાં છે.
રાજકીય ઘમાસાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી બેઠક
ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠક 11 વાગ્યે બોલાવી છે. સૂત્રોથી મળતી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેના વલણ સામે NCP નારાજ છે. ઉદ્ધવે સરકારી આવાસ છોડતા NCP નારાજ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિવસેનાના મોટા નેતાની સમગ્ર મામલામાં સંડોવણીની NCPને આશંકા છે.
ગઈકાલે સુરત પહોંચેલા 4 ધારાસભ્યો પણ પહોંચી ચૂક્યા છે ગુવાહાટી
આ વચ્ચે, શિવસેનાના વધુ 3 ધારાસભ્ય અને એક અપક્ષના ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા છે. તેમાંથી એક યોગેશ કદમ છે, જે દપોલી બેઠકથી શિવસેના ધારાસભ્ય છે. તેઓ રામદાસ કદમના દીકરા છે. જ્યારે અપક્ષના ધારાસભ્યનું નામ ચંદ્રકાંત નિંબા પાટિલ છે, જે જલગાંવથી ધારાસભ્ય છે. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે. વધુ ધારાસભ્યો ગુવાહાટી પહોંચતા શિવસેનાની મુશ્કેલીઓ હજુ વધી ગઈ છે.
વધુ ત્રણ બળવાખોર ધારાસભ્યો સુરતથી ગુવાહાટી જશે
આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુદાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવાનકર પણ શિંદે કેમ્પમાં પહોંચી શકે છે. જણાવાય રહ્યું છે કે, મુંબઈમાં પણ શિંદેના સમર્થક 3 ધારાસભ્ય હાજર છે. જો દાવા અનુસાર, આ ધારાસભ્ય શિંદેના પક્ષમાં જાય છે તો શિંદેની સાથે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 36 પર પહોંચી જશે જ્યારે અન્ય 13 ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાનું મનાઇ રહ્યું છે. મહત્વનું છે કે, ગુવાહાટીની Radisson Blu હોટલમાં એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે રોકાયા છે.
#WATCH | Assam: Shiv Sena leader Eknath Shinde along with other MLAs at Radisson Blu Hotel in Guwahati last night, after 4 more MLAs reached the hotel. pic.twitter.com/1uREiDXNr5
ધારાસભ્યો સાથેની શિંદેની ચર્ચાનો વીડિયો આવ્યો સામે
મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં રોકાયા છે. ત્યારે એકનાથ શિંદે હોટલમાં ધારાસભ્યો સાથે સતત બેઠક કરી રહ્યાં છે. તેવામાં હવે ધારાસભ્યો સાથેની શિંદેની ચર્ચાનો વીડિયો આવ્યો સામે છે.