ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ એવો સંકેત આપ્યો છે કે તે કોલ અને ડેટા માટે મિનિમમ ટેરિફ નિર્ધારિત કરવાની ઇન્ડસ્ટ્રીની માગણી પર વિચારણા કરી શકે છે. તેનાથી ટેલિકોમ સેક્ટરની સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત થઇ શકશે. ટેલિકોમ રેગ્યુલેટર અગાઉ મિનિમમ ટેરિફ કે ચાર્જિસની મર્યાદા નક્કી કરવા દરમિયાનગીરી કરવા ઇનકાર કરતું રહ્યું છે, પરંતુ હવે ટ્રાઇના વલણમાં ફેરફાર થયો છે.
ટ્રાઇના વલણમાં થયો ફેરફાર
ટ્રાઈ મિનિમમ ટેરિફ નિર્ધારિત કરવા વિચારણા કરશે
પહેલાં ટ્રાઈ ટેરિફ કે ચાર્જિસની મર્યાદા નક્કી કરવા ઇનકાર કરતું રહ્યું છે
ભારતી એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલની ટેલિકોમ સેક્રેટરી સાથે મુલાકાત બાદ ટ્રાઇનું વલણ બદલાયું છે. મિત્તલે ટેલિકોમ સેક્રેટરી સમક્ષ ડેટા માટે લઘુતમ મર્યાદા કે ડેટા રેટ નિર્ધારિત કરવાની માગણી કરી છે.
ટ્રાઇના ચેરમેન આર.એસ. શર્માએ એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે ટેલિકોમ ચાર્જિસ છેલ્લાં 16 વર્ષની મુશ્કેલ પરિસ્થિતિમાં પણ નિયંત્રિત રહ્યા છે અને યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. હવે ટ્રાઇ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના મિનિમમ ટેરિફ નક્કી કરવાની માગણી પર વિચારણા કરી રહી છે.
મૂકેશ અંબાણીની રિલાયન્સ જિઓ દ્વારા પ્રી વોઇસ કોલ અને સસ્તા ડેટાની ઓફરથી ટેલિકોમ સેક્ટરમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી અને પ્રાઇસ વોર ચાલુ થઇ ગઇ હતી, કારણ કે જિઓના પગલે અન્ય કંપનીને પણ ટેરિફના દર ઘટાડવા પડ્યા હતા. આથી શર્માના જણાવ્યા અનુસાર ટેલિકોમ કંપનીઓએ તાજેતરમાં સાથે મળીને અમને લેખિત રજૂઆત કરી છે કે તેમના માટે રેગ્યુલેશન નક્કી કરવામાં આવે. દરમિયાન સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂના આધારે ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાને પેમેન્ટ કે દંડ ચૂકવવામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ કે રાહત આપવામાં આવશે નહીં. સરકાર એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ આધારે વ્યાજમાફી પણ કરશે નહીં એવી સ્પષ્ટતા કેન્દ્રીય ટેલિકોમ પ્રધાને રાજ્યસભામાં કરી હતી.