પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ લોકસભાની ચૂટણી પૂર્વે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આગામી લોકસભાની બેઠક તેઓ બનાસકાંઠાથી લડશે. 2014માં હરિભાઈને બચાવવા પાટણથી લડયો હોવાનો ઉલ્લેખ પણ લીલાધર વાઘેલાએ કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણી હું બનાસકાંઠાથી લડવા માંગુ છું તો હરીભાઈ મારા માટે બનાસકાંઠાની બેઠક ખાલી કરે. હું આ અંગે પાર્ટી હાઈકમાન્ડને પણ રજૂઆત કરીશ.
છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ થયેલા પાટણના સંસદ લીલાધર વાઘેલા આજરોજ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. આ વખતે તેમણે તેમની લાગણી જાહેર કરતા કહ્યું કે " હું બનાસકાંઠામાંથી લોકસભા ચૂંટણી લડવાનો છું.
ગત લોકસભાની ચૂંટણીમાં હરીભાઈ ચૌધરી પાટણથી હારી જાય તે ભયને કારણે હું 2014ની લોકસભા ચૂંટણી પાટણથી લડ્યો હતો. પરંતુ આગામી સમયમાં યોજાનારી વખતે હું હરીભાઈને રજૂઆત કરીશ કે તમે રહેવા દો. મને બનાસકાંઠાથી ચૂંટણી લડવાની તક આપે અને આ મારો હક છે.
તો થોડા સમય પહેલા સાંસદ લીલાધર વાઘેલા ગુમ થયા હોવાના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોસ્ટરમાં સાંસદ લીલાધર વાઘેલાના ફોટો સાથે લખાણ લખ્યું છે કે વિકાસ કરતા કરતા પાટણનાં સાંસદ ગુમ. છેલ્લાં 2014માં દેખાયેલ છે. ત્યારબાદ ગુમ થયેલ છે. તો પાટણની જનતા તેમને શોધે છે. તો જનતાની લાગણી સમજી પાટણ હાજર થવા વિનંતી. આવા પોસ્ટર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં હાસ્ય પણ રેલાયું છે.
ઉલ્લેખનીય છે કે વાયરલ થઈ રહેલા પોસ્ટર્સમાં સૌથી ઉપરના ભાગે કાળી પટ્ટીમાં એક લખાણ લખવામાં આવેલ છે કે વિકાસ ભાજપના સાંસદોને શોધવા નીકળ્યો બુલેટ ટ્રેન લઈને" તેની નીચે જમણી બાજુએ પાટણના સાંસદ લીલાધર વાઘેલાનો એક ફોટો મૂકવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે લીલાધર વાઘેલા સાથે ઠાકોર સમાજ ઉપરાંત કે મોટો સમુદાય જોડાયેલો છે. આથી તેમની આ સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલે તે માટે તેઓ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમના પુત્રને ભાજપ પક્ષ તરફથી ટીકીટ મળે તેવી માંગ કરી રહ્યા છે. લીલાધર વાઘેલા તેમના જયેષ્ઠ પુત્ર દિલીપ વાઘેલા માટે ભાજપમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાના છે તેવી જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો.