શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે અને સાપને આ દિવસે મારવાની મનાઈ છે. નાગદેવતાની પૂજામાં દૂધના અભિષેકનું ખાસ મહત્વ છે. નાગદેવતાને આ ખાસ દિવસે કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
કુલેર એ ઘી, ગોળ અને બાજરીનો લોટ કે ચોખાનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. પહેલાના સમયમાં ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનારો વર્ગ કુલેર વધુ પ્રમાણમાં ખાતા હતા. તેને કાચી જ ખાવામાં આવે છે. જો કે આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. તો તમે પણ જાણી લો નાગપંચમીમાં બનાવવામાં આવતી કુલેરની રેસિપી.
સામગ્રી
– 2 કપ બાજરીનો લોટ
– 1 કપ ગોળ
– ઘી જરૂર મુજબ
રીત
સૌપ્રથમ એક મોટા બાઉલમાં બાજરીનો લોટ ચાળી લો. હવે તેમાં ગોળ ઉમેરો. પછી બંનેને હાથની મદદથી જ બરાબર મિક્સ કરો. બને ત્યાં સુધી ગોળને સમારીને જ નાંખો. જેથી જલ્દીથી મિક્સ થશે. લોટના ગઠ્ઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે તેમાં ગરમ કરેલું ઘી રેડવું. ઘી રેડ્યા બાદ ફરીથી ગોળ, ઘી અને લોટ એમ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરવી. ત્યારબાદ હાથની મદદથી લાડુ વાળો. તો તૈયાર છે બાજરીના લોટની સ્વાદિષ્ટ કુલેર. તમે તેને નાગદેવતાને ચઢાવી શકો છો.