કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા કામિનીબા રાઠોડે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં સાચા વ્યક્તિનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો હતો.
કામિનીબા રાઠોડે ભાજપમાં જોડાયા બાદ આપી પ્રતિક્રિયા
તમામ કાર્યકર્તાઓ સાથે ખૂબ સારી સફર કરી: કામિનીબા
કોંગ્રેસમાં સાચા વ્યક્તિનો અવાજ દબાવવાનો થતો હતો પ્રયાસ: કામિનીબા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે નેતાઓ નારાજ થઈ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. તેવામાં કોંગ્રેસથી લાંબા સમયથી નારાજ કામિનીબા રાઠોડ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આજે ભાજપમાં જોડાઈ ગયા છે. મહત્વનું છે કે કોંગ્રેસમાંથી ટિકિટ ન આપતા કામિનીબા નારાજ હતા અને કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ ગતરોજ અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું અને આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ કામિનીબા રાઠોડે પ્રતિક્રિયા આપી છે.
મહિલાનો અવાજ દબાવવા પ્રયાસ કરાયોઃ કામિનીબા
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત થઈને હું આજે ભાજપમાં જોડાઈ છું. કોંગ્રેસની અંદર સાચા અને સારા માણસોની કદર થતી નથી. પક્ષમાં એક મહિલા તરીકે મેં સવિશેષ કામગીરી કરી છે, છતાં કોંગ્રેસે તેની કદર કરી નથી. ઉપર જતાં મારી પર આક્ષેપબાજી અને આરોપો લગાવવામાં આવ્યા. મહિલાની મદદે આવવાને બદલે કોર્ટની નોટિસ ફટકારવાની ધમકીઓ આપવામાં આવી અને મહિલાનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. આવી પાર્ટીમાં રહેવું મને યોગ્ય લાગતું નથી.
જે કામગીરી સોંપાશે તે કરીશુંઃ રાઠોડ
કામિનીબા રાઠોડે વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા જે કામગીરી સોંપવામાં આવશે તે કામ કરીશ. ગામે ગામ જઈને ભાજપ જીતે તેવા પ્રયાસ કરીશું. સાથે જ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપીશું.
કામિનીબા રાઠોડે નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી
કોંગ્રેસ પર ટિકિટને લઈ સોદેબાજીનો ગંભિર આરોપ લગાવનાર દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે પોતાની ઉમેદવારી પરત ખેચી લીધી હતી. દેહગામ બેઠક પરથી કોંગ્રેસે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કામિનીબા રાઠોડ નારાજ થયા હતા અને તેમણે દહેગામથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કામિનીબા રાઠોડે ટિકિટને લઈ પ્રદેશ પ્રમુખ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે કામિનીબા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસના વરીષ્ટ નેતાઓએ તેમને મનાવવા પ્રયત્ન કર્યા હતા. જે બાદ કામિનીબા રાઠોડે દહેગામ બેઠક પરથી ગઈકાલે ફોર્મ પરત ખેંચી લીધું હતું. જોકે, તેના થોડા જ સમયમાં કામિનીબા રાઠોડે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો.
કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા
તાજેતરમાં જ દહેગામ બેઠકને લઈને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતો. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, મારી પાસે ટિકિટ માટે 1 કરોડની માંગણી કરવામાં આવી હતી. જે બાદ 50 લાખમાં ટિકિટ આપવાનું સેટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, હું પૈસાની માગ પૂરી ન કરી શકતા અન્યને 1 કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી હોવાનું કહ્યું હતું.