39 વર્ષની ઉંમરે જોગિન્દર શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી
ભારત માટે વન-ડેમાં તેમણે 2004માં ડેબ્યુ કર્યુ હતુ
જોગિન્દર શર્માએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
વર્ષ 2007માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડ કપમાં ફાઈનલના હીરો રહેલા જોગિન્દર શર્મા દરેક વ્યક્તિને યાદ છે. જોગિન્દર શર્માએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. શુક્રવારે ટ્વિટર પર 39 વર્ષના જોગિન્દર શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી.
જોગિન્દર શર્માએ ભારત માટે 4 વનડે અને 4 ટી20 મેચ રમી
હરિયાણાના રોહતકમાંથી આવતા જોગિન્દર શર્માએ ભારત માટે 4 વનડે અને 4 ટી20 મેચ રમી છે. ખાસ વાત એવી છે કે તેમણે પોતાની કારકિર્દીની બધી ટી20 મેચ માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ બની ગયો. જ્યારે ભારત માટે વન-ડેમાં તેમણે 2004માં ડેબ્યુ કર્યુ હતુ અને 2007માં છેલ્લી વખત વન-ડે મેચ રમી. જોગિન્દર શર્મા અત્યારે હરિયાણા પોલીસમાં ડીએસપી પદ પર તેનાત છે, તેઓ થોડા સમય પહેલા હરિયાણા માટે રણજી ટ્રોફી પણ રમી રહ્યાં હતા.
જોગિન્દર શર્માએ ટ્વિટર પર પોતાની આ ચિઠ્ઠીને શેર કરી
જોગિન્દર શર્માએ ટ્વિટર પર પોતાની આ ચિઠ્ઠીને શેર કરી, જે તેમણે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને મોકલી છે અને નિવૃત્તિની જાહેરાત કરી છે. જોગિન્દર શર્માએ લખ્યું છે કે તેઓ બીસીસીઆઈ, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નઈ સુપર કિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માને છે. જોગિન્દર શર્માએ પોતાના પ્રશંસકો, પરિવાર, મિત્રોનો પણ આભાર માન્યો. જેમણે કારકિર્દીના ઉતાર-ચઢાવમાં પોતાનો સાથ આપ્યો. જોગિન્દર શર્માએ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી અને અન્ય ઑપ્શન તપાસવાની વાત કહી.