જો કોઈ વ્યક્તિ મેમો ફાટ્યા બાદ પણ દંડ ભરતા નથી તો તે રકમ તેના વીમા પ્રીમિયમમાં જોડાઈ જાય છે. જ્યારે તમે ફરી વારનું પ્રીમિયમ ભરશો ત્યારે તે રકમ તમારી પાસેથી વસૂલવામાં આવશે.
જે લોકોની પાસે કોઈ વાહન છે અને વાહન ચાલક મેમો ફાટ્યા બાદ તેને ભરવાની ના પાડે છે તો એ રકમને વીમાના પ્રીમિયમમાં જોડી દેવામાં આવે છે. જેના કારણે બાકી રહેલી રકમ વસૂલવામાં ટ્રાફિક પોલીસને સરળતા રહેશે. ભારતીય વીમા નિયામક પ્રાધિકરણ (ઈરડા)એ આ યોજના પર કામ શરૂ કર્યું છે. હાલમાં તેને પાયલટ પ્રોજેક્ટના આધારે દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યો છે.
સડક દુર્ઘટનામાં થશે ઘટાડો
જો વીમા પ્રીમિયમની રકમને ટ્રાફિકના મેમો સાથે જોડી દેવામાં આવે તો સડક પર થતી દુર્ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે નવા ટ્રાફિક નિયમોના લાગૂ થયા બાદ જ ઈ-મેમો મોકલવામાં આવી રહ્યો છે. જો ઈરડાનો આ પ્રયોગ દિલ્હીમાં સફળ થશે તો તેને તમામ જગ્યાએ લાગૂ કરવામાં આવશે.
બનાવાઈ 9 લોકોની સમિતિ
આ કામ માટે કુલ 9 લોકોની સમિતિ બનાવવામાં આવી છે. જેમાં દિલ્હી ટ્રાફિક પોલિસ, ઈરડા, ઈન્શ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઈન્ડિયા અને પ્રમુખ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિ પણ સામેલ છે. આ સમિતિ 8 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સોંપશે.
મેમોમાં થયો 80 ટકાનો ઘટાડો
આ નિયમ લાગૂ કરવાથી દિલ્હીના લોકો નિયમ અનુસરી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં દિલ્હીના લોકોના મેમોમાં 80 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
દિલ્હીના લોકો અને ટ્રાફિક પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મેમોની વધુ રકમના ડરના કારણે લોકો નિયમ ફોલો કરી રહ્યા છે. અન્ય તરફ શરીર પર પહેરાતા કેમેરાના કારણે હવે કોઈનું નામ પણ ચાલી શકતું નથી. પહેલાં લગભગ 300 જેટલા મેમો ફાટતા હતા. હવે લગભગ 80થી 100 મેમો ફાટી રહ્યા છે. નરેલા સર્કલ પાસે 600 મેમોને બદલે હવે 150થી200 મેમો ફાટે છે. અધિકારીઓનું માનવું છે કે દંડમાં ભારે રકમ વસૂલાતી હોવાના કારણે લોકોના મનમાં હવે ડર બેઠો છે. જેના કારણે તેઓ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા નથી.