ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને દૈનિક કેસના આંકડા ફરી રેકોર્ડ તોડી રહ્યા છે.
કોરોના વાયરસનો કહેર વધ્યો
પંજાબ અને મહારાષ્ટ્રમાં પાબંધીઑ શરૂ
છેલ્લા 24 કલાકમાં 25 હજારની આસપાસ નવા કેસ
કોરોના વાયરસના વધતાં કેસને જોતાં ભારતમાં ગયા વર્ષ જેવી જ પરિસ્થિતિ ફરીથી નિર્માણ પામી રહી છે. વર્ષ 2020ના અંત બાદથી જ કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવાં મળ્યો હતો પરંતુ હવે ફરીથી કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોરોના વાયરસ કેસ અપડેટ
ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 140 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે 24,882 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે અને એક્ટિવ કેસની સંખ્યા 2 લાખને પાર થઈ ગઈ છે.
છ રાજ્યોમાં કોરોના કેસ વધ્યા
ભારતમાં છ એવા રાજ્યો છે જ્યાં કોરોના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, કેરળ, તમિલનાડુમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. યુપી બિહારમાં પરિસ્થિતિ હાલ તો સામાન્ય દેખાઈ રહી છે.
મહારાષ્ટ્રમાં પાબંધીઓ શરૂ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા 15 હજારને પાર થઈ ગઈ છે. નાગપુર, અકોલા, પૂણે અને ઔરગંગાબાદ જેવા જિલ્લાઑમાં તાળાબંધી શરૂ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઓકટોબર મહિના બાદ પહેલી વાર કેસની સંખ્યા 15 હજારને પાર ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ પહેલા જ કહ્યું હતું કે કોરોના વાયરસને કેસ વધશે તો લોકડાઉન લગાવી દેવામાં આવશે.
પંજાબમાં નાઈટ કર્ફ્યૂ અને શાળાઓ બંધ
મહારાષ્ટ્ર બાદ પંજાબમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. પંજાબના કુલ આઠ જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. કોરોના વાયરસના કેસ વધતાં શાળાઓને બંધ કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. જોકે શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે જે વિદ્યાર્થીઓને શિક્ષકોનું માર્ગદર્શન જોઈએ છે તે શાળાએ માર્ગદર્શન લેવા આવી શકે છે.