ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું કંગાળ પ્રદર્શન રહ્યું છે. ઇંગ્લેન્ડની ટીમે પહેલાં ભારતને 78 રન પર ઓલઆઉટ કર્યુ અને ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સ્કોરનો આંકડો 100ને પાર કર્યો. જોકે ભારતીય ટીમને પહેલા દિવસે વિકેટ લેવાની તક મળી હતી પણ રોહિત શર્માએ આ તકને ગુમાવી હતી.
ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતનું કંગાળ પ્રદર્શન
રોહિતની આ ભૂલ પર થયો વિરાટ ગુસ્સે
ભારતીય ટીમે મેચમાં માત્ર 78 રન કર્યા
રોહિતે ગુમાવી જોરદાર તક
પહેલા દિવસે મુશ્કેલીમાં ડૂબેલી ભારતીય ટીમને બુમરાહે ખુશી મેળવવાની એક તક આપી. પરંતુ ભારતીય ટીમના આક્રમક ખેલાડી રોહિત શર્માની સામાન્ય ભૂલના કારણે વિકેટ લેવાની એક તક પણ ભારતીય ટીમે ગુમાવી દીધી. બુમરાહની બોલિંગના પ્રથમ બોલમાં ઇંગ્લેન્ડના ઑપનર હસીબ હમીદના બૅટની ધારે બોલ અડીને સીધો સ્લિપમાં ગયો. જ્યાં ફિલ્ડિંગ ભરી રહેલા રોહિત શર્માએ કેચ છોડ્યો હતો.
કોહલીને આવ્યો ગુસ્સો
રોહિતના હાથમાંથી કેચ છૂટ્યો ત્યારે કેપ્ટન વિરાટ કોહલીને આ ગમ્યુ નહીં અને તેને ગુસ્સો આવ્યો. વિરાટ તે સમયે રોહિતની બાજુની સ્લીપમાં ઉભો રહ્યો હતો. જ્યારે રોહિતે કેચ છોડ્યો ત્યારે જ વિરાટે તેની સામે ગુસ્સાથી જોયું. રોહિતની આ ભૂલ લોકોને પણ પસંદ ન આવી. ઉલ્લેખનીય છે કે, રોહિતના હાથમાંથી કેચ છૂટ્યો હતો અને બોલ સીધો બાઉન્ડ્રીમાં જતા સીધા 4 રન મળ્યાં હતા તથા હસીબની અડધી સદી પૂર્ણ થઈ હતી.
એન્ડરસને આપ્યો મોટો ઝટકો
આ મેચમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસને ટીમ ઇન્ડિયાનું મનોબળ તોડી નાખ્યું હતુ. એન્ડરસને આ મેચમાં ટીમ ઇન્ડિયાના ટૉપ ઑર્ડરને સમાપ્ત કરી દીધુ હતું. એન્ડરસને કે.એલ.રાહુલ, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. તો બીજી તરફ રહાણેની વિકેટ ઑલી રોબિન્સને લીધી. ટીમ ઇન્ડિયાના ટોપ બેટ્સમેનોનું મનોબળ વિખેરાઈ જવાથી ટીમનો સ્કોર 100 સુધી પણ પહોંચ્યો ન હતો અને સમગ્ર ટીમ 78 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી.