જો તમે અમદાવાદમાં રહેતા હોય તો જરા ચેતી જવાની જરૂર છે. કારણ કે હવે અમદાવાદની હવા શ્વાસ લેવા જેવી રહી નથી. અમદાવાદ શહેર ધીરે ધીરે પ્રદૂષિત શહેર તરફ આગળ વધી રહ્યું છે.
અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 135એ પહોંચી ગયો છે. અમદાવાદમાં દિવસેને દિવસે વધતાં વાહનોની સંખ્યા, ફેક્ટરીઓનો ફાટી નીકળેલો રાફડો, જેના કારણે પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં ઉડતી ધૂળના કારણે પણ હવા બિન આરોગ્યપ્રદ બની રહી છે.
એર ક્વોલિટી ઈન્ડેક્ષ 100થી નીચે હોય તો તે હવા આરોગ્ય માટે સારી ગણાય છે. જોકે આંક 100એ પહોંચી જાય તો હવા શ્વાસ લેવા લાયક નથી રહેતી. જો કે રાજ્યભરના શહેરોમાં પ્રદૂષણ અંગે વાત કરીએ તો ગાંધીધામમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ગાંધીધામમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 158એ પહોંચ્યો છે.
ગાંધીધામમાં પ્રદૂષણ વધવાનું કારણ ફેક્ટરીઓ અને કંપની છે. ગાંધીધામમાં મોટી સંખ્યામાં કેમિકલ, કોલસા અને અન્ય ચીજોની ફેક્ટરીઓ આવેલી છે, જેના કારણે પ્રદૂષણમાં વધારો થયો છે. જ્યારે ગાંધીધામ બાદ વલસાડમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 129 છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 121, આણંદમાં 106નો આંક નોંધાયો છે.