આજે અમે આપને સૌરાષ્ટ્રની 10 વિધાનસભા બેઠકો વિશે જણાવવા જઈ રહ્યા છે. આ બેઠકો પર અપક્ષ ઉમેદવારો હારજીતની બાજી પલટી શકે છે.
સૌરાષ્ટ્રની 10 બેઠકો પર અપક્ષ ઉમેદવારો પલટી શકે છે બાજી
2017માં જીતના માર્જીન કરતા અપક્ષોએ મેળવલા મતની સંખ્યા હતી વધારે
10 બેઠકો પર 10 કરતા વધુ ઉમેદવારો હતો મેદાનમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ચાર દિવસ જ બાકી છે. એવામાં તમામ રાજકીય પક્ષો રાત કે દિવસ જોયા વિના સભા ઉપર સભા અને રોડ શો યોજી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાતો હોય છે. તેની વચ્ચે અપક્ષ ઉમેદવારો પણ ઘણી જગ્યાએ તેમના વર્ચસ્વ, પરિસ્થિતિને લઈને ફાવી જતા હોય છે. આજે અમે આપને સૌરાષ્ટ્રની 10 વિધાનસભા બેઠકો વિશે જણાવવા જઈ રહ્યા છે. આ બેઠકના પરિણામોમાં અપક્ષ ઉમેદવારો હારજીતની બાજી પલટી શકે છે.
10 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપનો વિજય
ગત ચૂંટણીના પરિણામ પર એક નજર કરીએ તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની આ 10 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા, જ્યારે 4 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી. જોકે, આ ભાજપની 6 અને કોંગ્રેસે જીતેલી 4 બેઠકમાંથી મોટાભાગની બેઠક પર જીતના માર્જીન કરતા અપક્ષોએ મેળવલા મતની સંખ્યા વધારે હતી.
4 બેઠક પર કોંગ્રેસે મારી હતી બાજી
સૌરાષ્ટ્રની આ 10 બેઠકો વિશે વિગતવાર વાત કરીએ તો દ્વારકા, મહુવા, રાજકોટ ગ્રામ્ય, ગારીયાધાર, પોરબંદર અને બોટાદમાં ભાજપના ઉમેદવારો જીત્યા હતા. જ્યારે ઊના, મોરબી, તળાજા અને વાંકાનેર બેઠક પર કોંગ્રેસે બાજી મારી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ 10 બેઠકો પર 10 કરતા વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો
જીતના માર્જીન કરતા અપક્ષોને મળ્યા વધારે મત
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દ્વારકા બેઠક પર 13 ભાજપના ઉમેદવાર જીત્યા હતા. દ્વારકામાં જીતનું માર્જીન 5739 મતોનું હતું, આ બેઠક પર 2017માં અપક્ષોએ 5589 મત પ્રાપ્ત કર્યા હતા. આવી જ રીતે મહુવામાં 5009ની લીડ સામે અપક્ષોના ફાળે 52,815 મત હતા. તો રાજકોટ ગ્રામ્યમાં 2179ની લીડ સામે 3961 મત અપક્ષોએ મેળવ્યા હતા. આ બેઠક પર 10 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા.
ગારીયાધાર બેઠક પર 1876ની લીડ સામે અપક્ષોને 2739 મત મળ્યા હતા. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર 1855ની લીડથી જીત્યા હતા. જોકે, અપક્ષોને 2087 મત મળ્યા હતા. બોટાદમાં પણ 14 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી, પરંતુ બાજી ભાજપે જીતી લીધી હતી. ભાજપના ઉમેદવાર માત્ર 906 લીડથી જીત્યા હતા. જ્યારે અપક્ષોને 13,567 મતો મળ્યા હતા.
વાંકાનેરમાં રેકોર્ડ
આ વાત હતી ભાજપને મળેલી બેઠકોની. હવે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસના ઉમેદવારે ઊના બેઠક કબજે કરી હતી. ઊનામાં જીતનું માર્જીન 4928 મતનું હતું. જેમાં 2017માં 10 ઉમેદવાર હતા. આઆ બેઠક પર 2017માં અપક્ષોએ 2766 મત પ્રાપ્ત કર્યા હતા. આવી જ રીતે મોરબી, તળાજા અને વાંકાનેરમાં ક્રમશ 3419, 1779, 1361ની લીડ સામે અપક્ષોએ ક્રમશ 3035, 3678 અને 27,415 મત મેળવ્યા હતા. તેથી કહી શકાય કે આ 10 વિધાનસભા બેઠકના પરિણામોમાં અપક્ષ ઉમેદવારો હારજીતની બાજી પલટી શકે છે.