યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ ધારકોને જરૂરી માહિતી આપી છે. જો તમે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખને અપડેટ કરવા માંગતા હો તો તમારે આ સમાચાર વાંચવા જોઈએ. UIDAI અનુસાર, તમે આધારમાં જન્મ તારીખ અપડેટ કરવા માટે જે દસ્તાવેજનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા નામે હોવું જોઈએ અને નામ તમારા વર્તમાન આધાર ડેટા જેવું હોવું જોઈએ. આ માહિતી UIDAIએ ટ્વિટ કરીને આપી છે.
UIDAIએ જન્મ તારીખ સુધારવા માટે કેટલીક શરતો નિર્ધારિત કરી છે. આ અંતર્ગત, જો જન્મ તારીખમાં ફેરફાર થવાના કિસ્સામાં ત્રણ વર્ષથી ઓછા સમયનો તફાવત હોય તો તમે સંબંધિત દસ્તાવેજો સાથે નજીકના આધાર કેન્દ્રમાં જઈને સુધારો કરાવી શકો છો. જો ઉંમરમાં ત્રણ વર્ષથી વધુનો તફાવત હોય તો તમારે દસ્તાવેજો પ્રાદેશિક આધાર કેન્દ્ર પર લઈ જવા પડશે. UIDAIએ એમ પણ કહ્યું છે કે, આધારમાં લિંગ સુધારણાની સુવિધા હવે ફક્ત એક જ વાર મળશે.
અપડેટ કરાવવા આ દસ્તાવેજો માન્ય રહેશે
UIDAI અનુસાર, જન્મ તારીખના પુરાવા માટે 15 દસ્તાવેજો સ્વીકારે છે. આધારકાર્ડ પર જન્મ તારીખ બદલવા માટે તમે જે દસ્તાવેજો પુરાવા તરીકે આપી શકો છો તેમાં જન્મ પ્રમાણપત્ર, એસએસએલસી પ્રમાણપત્ર, પાસપોર્ટ, ફોટો આઈડી કાર્ડ, પાનકાર્ડ, સરકારી બોર્ડ અથવા યુનિવર્સિટીની માર્કશીટ, પીએસયુમાંથી મળેલું સરકારી ફોટો આઈડી કાર્ડ વગેરે સામેલ છે.
નામ સુધારવાની પણ તક
આધારમાં નામ બદલવાની બેવાર તક મળે છે. નામમાં બદલાવ કરવા માટે પાસપોર્ટ, પાનકાર્ડ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી ક્ષેત્રની કંપનીઓ દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ, શૈક્ષણિક સંસ્થાના લેટર હેડ, શસ્ત્રોનું લાઇસન્સ, જાતિ અને રહેઠાણનું પ્રમાણપત્ર, પેન્શનર ફોટોકાર્ડ, આવાસનું પ્રમાણપત્ર જેમાં ફોટો હોય, ગ્રામ પંચાયત વડા દ્વારા લેટર હેડ ઉપર જારી કરાયેલ સરનામાનું પ્રમાણપત્રમાંથી કોઈ એક દસ્તાવેજ હોવું જરૂરી છે. તેને લઈને આધાર કેન્દ્ર જઈને તમે નામમાં સુધારો કરાવી શકો છો.