વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગઈ કાલે વાવાઝોડુ 930 કિલોમીટર દૂર હતુ, જ્યારે હાલમાં વેરાવળ દરિયાકાંઠાથી વાયુ વાવાઝોડુ 740 કિલોમીટર દૂર છે. ત્યારે 12 કલાકમાં વાવાઝોડુ 190 કિલોમીટર ગુજરાત તરફ આગળ વધ્યું છે.
24 કલાકમાં વાવાઝોડુ દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા.
વાયુ વાવાઝોડાને પગલે NDRFની ટીમ અલર્ટ.
તમામ કર્મીઓ, અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા આદેશ.
વાયુ વાવાઝોડુ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે 24 કલાકમાં વાવાઝોડુ દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાયુ છે અને તેના કારણે વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે. 12થી 14 જૂન સુધી વાવાઝોડાની અસર રહે તેવી પણ શક્યતા છે.
વાવાઝોડાના પગલે ભારે વરસાદ પણ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઈંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. તો વાવાઝોડાના પગલે તંત્રને પણ અલર્ટ કરી દેવામાં આવ્યું છે.
વાવાઝોડાને પગલે NDRFની ટીમ અલર્ટ:
વાયુ વાવાઝોડાને પગલે NDRFની ટીમ અલર્ટ થઈ ગઈ છે. દરિયાકાઠાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF તૈનાત રહેશે. મળતી માહિતી મુજબ બચાવ રાહતની કામગીરી માટે સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ તૈનાત રહેશે. તો અલગ અલગ સેન્ટરો પરથી પણ NDRFની ટુકડીઓ મોકલાશે. વડોદરાથી NDRFની 9 ટીમો દરિયાકાંઠા વિસ્તારોમાં જશે. જ્યારે પૂના અને ભટીંડાથી 5-5 ટીમો ગુજરાત આવશે.
વાવાઝોડાના ખતરાને લઇ NDRFની ટીમની મદદ લેવામાં આવી છે. હાલ NDRFની 26 ટીમ રાજ્યમાં સ્ટેન્ડ ટુ રખાઇ છે. ગુજરાત NDRFની 15 ટીમ તૈનાત છે અને પંજાબથી NDRFની 5 ટીમ બોલાવાઇ છે. જેને રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, વેરાવળ, અમરેલી. ઉપરાંત કંડલા, મુંદ્રા, માંડવી, નલિયામાં તૈનાત કરાશે. હાલ ગાંધીનગરથી NDRFની 2 ટીમ અને વડોદરાથી 9 ટીમ રવાના કરાઇ છે.
દ્વારકામાં તંત્ર ખડેપગે:
વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. જેથી દ્વારકામાં પણ તંત્રને ખડેપગે રહેવા માટે આદેશ આપી દેવાયો છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાના પગલે દ્વારકા જિલ્લામાં કર્મચારીઓને ખડેપગે રહેવા માટે પણ આદેશ આપી દેવાયો છે. કલેક્ટર દ્વારા તમામ વિભાગોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો વાયુ વાવાઝોડાની આશંકાના પગલે ઓખા સલાયામાં નંબર વનનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે 12 અને 13 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી કરી છે. જે બાદ તમામ કર્મચારીઓને હાજર રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓને પણ તૈયાર રહેવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે.
પોરબંદરમાં પણ તંત્ર સતર્ક:
સંભવિત વાયુ વાવાઝોડુ ત્રાટકે તેવી આગાહી બાદ પોરબંદર વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. પોરબંદર જિલ્લા કલેક્ટરની સૂચના શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ નામનું વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે પોરબંદર નગર પાલિકા દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવમાં આવી છે. સાથો સાથ ફાયર વિભાગની ટમ અને ચાર જેટલી બોટ સાથેની ટીમ પમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
સોમવારની રાત્રિથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મંગળવારની સવારથી જ રીક્ષામાં અનાઉન્સ કરીને લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. તેમજ શહેરમાંથી મોટા હોર્ડીંગ્સ ઉતારવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. ઉપરાંત વૃક્ષોને પણ ટ્રીમ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથો સાથ પોરબંદર જિલ્લાના દરિયા કિનારા નજીકના ગામોને પણ અલર્ટ કરી ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેથી વાવાઝોડા સમયે લોકોને કયા પ્રકારની તકેદારી રાખવી તેની પણ જાણકારી આપવામાં આવી રહી છે.
સુરતમાં ધીમી ધારે વરસાદ:
સુરત શહેરમાં ફરી એક વખત વરસાદનું આગમન થયુ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. કીમ ગામ સહિતના વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદ થઈ રહ્યો છે. ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.