કોરોનાની આ મહામારી વચ્ચે ભારતમાં આ વર્ષે બર્ડ ફ્લુથી મોતનો પ્રથમ કેસ નોંધાયો છે. દિલ્હીમાં સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં દાખલ થયેલ 12 વર્ષના બાળકની મંગળવારે H5N1 એવિયન ઇન્ફ્લુએન્ઝા (બર્ડ ફ્લુ) થી મોત થઇ છે . બાળકના મોત બાદ તેના સંપર્કમાં આવેલ તમામ દર્દીઓ અને એઇમ્સના સ્ટાફને આઇસોલેટ કરાયું છે. આ ઘટના બાદ લોકોને સવાલ ઊભા થઇ રહ્યા છે કે શું બર્ડ ફ્લુ માનવથી માનવના સંપર્કમાં આવતા ફેલાઇ શકે છે ? આ પ્રશ્નનો ઉત્તર AIIMSના પ્રમુખ રણદીપ ગુલેરિયાએ આપ્યો છે. તેમણે કહ્યું કે H5N1 વાયરસ માનવથી માનવમાં સંક્રમિત થાય તે દુર્લભ છે અને તેનાથી ડરવાની કોઇ જરૂરત નથી.
એઈમ્સના મેડિસિન વિભાગના સહયોગી પ્રોફેસર ડો. નીરજ નિશ્ચલે જણાવ્યું હતું કે એવિયન ઈન્ફલ્યુએન્ઝા મુખ્યત્વે પક્ષીઓનો રોગ છે.જો કે, ચેપથી પ્રભાવિત કેટલાક છૂટાછવાયા વિસ્તારો શોધવામાં આવ્યા છે. ભાગ્યે જ, આ વિસ્તારોમાં ચેપ ફેલાઇ શકે છે. જો કે, માનવથી માનવીય સંક્રમણના અત્યારસુધી કોઈ પુરાવા મળ્યા નથી. સર્વેમાં કોઈ પુરાવા મળ્યા નથી અને બાળકની સારવાર દરમિયાન આરોગ્ય કર્મચારીઓને ચેપ લાગવાનો પણ કોઈ પુરાવો નથી."
મરઘા નજીક કામ કરનારાઓએ સાવચેત રહેવું
ગુલેરિયાએ જણાવ્યું હતું કે, “પક્ષીઓથી માણસોમાં વાયરસનું સંક્રમણ ખૂબ જ દુર્લભ છે અને H5N1 માનવથી માનવમાં સંક્રમિત થવાનો મામલો હજી સુધી સાબિત થયો નથી. તેથી ગભરાવાની જરૂર નથી. " ડો. ગુલેરિયાએ કહ્યું," પરંતુ મરઘાંની નજીક કામ કરતા લોકોએ ચોક્કસપણે સાવચેતી રાખવી જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. "
આ વાયરસ પોલ્ટ્રી ઉત્પાદન ખાવાથી નથી ફેલાતો
H5N1 વાયરસ મુખ્યરૂપે પક્ષીઓ દ્વારા મરઘાંઓમાં થાય છે. ડો. નીરજ નિશ્ચલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કોઇ પુરાવા નથી મળ્યા કે આ યોગ્યરીતે રાંધેલ પોલ્ટ્રી (મરઘાં )ઉત્પાદનનું સેવન કરનારાઓમાં ફેલાય છે. ભોજનને ઉચ્ચ તાપમાને પકવતાં વાયરસ નષ્ટ થઇ જાય છે.
ડો.ગુલેરિયાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં, જ્યારે મરઘીઓમાં H5N1 એવિયન ફ્લૂ ફ્લુએન્ઝાના કેસ હતા, ત્યારે ચેપનો ફેલાવો અટકાવવા તે વિસ્તારોમાં મરઘાંને મારી દેવામાં આવ્યા હતાં.
જાન્યુઆરીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢ જેવા કેટલાક રાજ્યોમાં આ રોગ ફાટી નીકળ્યા પછી મરઘાંની હત્યા કરવામાં આવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, લોકોમાં H5N1 ચેપના લગભગ તમામ કિસ્સાઓ ચેપગ્રસ્ત જીવંત અથવા મૃત પક્ષીઓ અથવા H5N1 અસરગ્રસ્ત વાતાવરણ સાથે નજીકના સંપર્ક સાથે જોડાયેલા છે. હાલમાં ઉપલબ્ધ રોગશાસ્ત્રની માહિતી સૂચવે છે કે વાયરસ સરળતાથી મનુષ્યને સંક્રમિત કરતું નથી અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ભાગ્યે જ જોવા મળે છે. જ્યારે લોકોમાં ચેપ આવે છે ત્યારે મૃત્યુ દર લગભગ 60 ટકા જેટલો છે.