રાજ્ય સરકાર દ્વારા વાહનો પર એચએસઆરપી (હાઈસિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ) લગાવવાની મુદતમાં સતત આઠમી વખત વધારો કરાયો છે. હવે તા. ૩૧ ઓગસ્ટ સુધીમાં એચએસઆરપી લગાવી શકાશે એટલે કે શહેરીજનોને વધુ ત્રણ મહિનાની મુદત મળી છે.
૩૧ મેના છેલ્લા વધારાની મુદત પૂરી થવાને હજુ બે દિવસની અવધિ બાકી છે ત્યારે ફરી ૩ મહિનાનો મુદત વધારો આપીને જૂના વાહન માલિકોને સરકારે રાહતના સમાચાર આપી દીધા છે. શહેરના ટ્રાફિક વિભાગે છેલ્લા એક સપ્તાહ દરમિયાન એચએસઆરપી વગરનાં વાહનોને જપ્ત કરવાની શરૂઆત કરી દીધી હતી, જેના કારણે લોકોમાં આક્રોશ સાથે રોષની લાગણી ફેલાઈ હતી.
સરકારે જાહેર કરેલી મુદત પૂરી થવાને હજુ વાર હોવા છતાં ટ્રાફિક પોલીસ વિભાગે ઉત્સાહમાં આવી જઈને વાહનો જપ્ત કરવા માંડ્યાં હતાં અને જપ્ત થયેલા વાહન માટે વાહનચાલકે ૬૦૦થી વધુનો દંડ ભરવો પડ્યો હતો, જેમાં એચએસઆરપીના ૧૪૦, દંડના ર૯૦ અને પાર્કિંગના રોજના ૩૦ લેખે ર૧૦ ભરવાના થતા હતા. હવે પરિસ્થિતિ એ આવી છે કે આવાં વાહનોને ટ્રાફિક વિભાગે પાર્કિંગ ચાર્જ વગર ૧૪૦નો દંડ લઈને છોડી દેવાં પડશે.
અત્યાર સુધી સરકારે એચએસઆરપી લગાવવાની મુદતમાં સાત વાર વધારો કર્યો છે, જે હવે આઠમી મુદતમાં ફેરવાયો છે. એકમાત્ર અમદાવાદ શહેરમાં જ હજુ ૧૭ લાખ વાહનોમાં અને રાજ્યમાં કુલ દોઢ કરોડ વાહનો એચએસઆરપી વગર દોડી રહ્યાં છે આટલા મુદત વધારા પછી પણ તંત્ર મોટી સંખ્યામાં વાહનોમાં એચએસઆરપી લગાવવામાં અસફળ રહ્યું છે.
દર વખતે આ છેલ્લી મુદત હોય તેવું લાગે અને લોકો ગંભીર બને તે પહેલાં જ ફરી એક મુદત વધારો જાહેર થયો તેથી વાહનચાલકો ઉદાસીન બન્યા છે તો બીજી તરફ એચએસઆરપી લગાવતી ખાનગી કંપનીઓના સેન્ટરમાં કોઈ વધારો કરાયો નથી.
શહેર પોલીસ કમિશનરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં નંબર પ્લેટ વગરનાં તેમજ આરટીઓ માન્ય નંબર પ્લેટ નહીં ધરાવતાં ટુ વ્હીલર સામે ડ્રાઇવ શરૂ કરી છે. શહેરમાં ચોરી અને લૂંટના બનાવ બની રહ્યા છે. નંબર પ્લેટ વગરનાં વાહનો ગુનામાં વપરાતાં હોવાથી વાહનો જપ્ત કરી પોલીસ દ્વારા સ્થળ પર તેમનાં વાહનો પર એચએસઆરપી લગાવવા માટે ટ્રાફિક વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે. વાહનની ઓળખ અને તેની પૂરી વિગત માટે એચએસઆરપી જરૂરી છે. તેના વગરનાં વાહનોને જપ્ત કરવામાં આવે છે.