અમેરિકા-ચીન વચ્ચે છેડાયેલા ટ્રેડ યુદ્ધ, બ્રિટેનના યૂરોપીયન સંઘથી બહાર આવવુ અને ચીનમાં કોરોના વાયરસ ફેલાવવાને કારણે હોંગકોંગ શાંઘાઇ બેન્કિંગ કોર્પોરેશન (HSBC) બેન્ક હવે સંકટમાં ઘેરાઇ છે. હવે બેન્કે મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.
HSBC બેન્કે મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો
HSBC બેન્ક દ્વારા 35,000 લોકોની છટણી કરવામાં આવશે
આવનારા ત્રણ વર્ષમાં કંપની કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 2,00,000 કરશે
વાત એમ છે કે હોંગકોંગ શાંઘાઇ બેન્કિંગ કોર્પોરેશન (HSBC)એ મંગળવારે પોતાના વેપારનું પુનર્ગઠન કરવાની જાહેરાત કરી છે. આ હેઠળ 35,000 લોકોની છટણી કરવામાં આવશે. તેનુ મુખ્ય કારણ કંપનીના નફામાં સતત ત્રણ વર્ષથી ઘટાડો થવો છે.
બેન્કનું કહેવું છે કે તે પોતાની બેન્કનું યૂરોપ અને અમેરિકામાં વેપારનું ક્ષેત્ર પણ ઘટાડશે. અમેરિકા-ચીન વચ્ચે છેડાયેલા ટ્રેડ યુદ્ધ, બ્રિટેનના યૂરોપીયન સંઘથી બહાર આવવુ અને ચીનમાં કોરોના વાયરસ ફેલાવવા જેવી સમસ્યાને કારણે બેન્ક કેટલાય પ્રકારની અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે.
બેન્કનું કહેવું છે કે 2022 સુધીમાં તેના ખર્ચમાં લગભગ 32,000 કરોડનો ઘટાડો કરવાની યોજના છે. મોટાભાગનો ઘટાડો અમેરિકા અને યૂરોપીય વેપારમાં કરાશે. અમેરિકામાં બેન્કે બ્રાન્ચની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરવાની યોજના બનાવી છે.
બેન્કના મુખ્ય કાર્યકારી અધિકારી નોએલ ક્યુઇને કહ્યું, અમારા વેપારનો કેટલોક ભાગ આશા પ્રમાણે પ્રદર્શન કરી રહ્યો નથી, તેથી અમારા રોકાણકારોને યોગ્ય પરિણામ આપવા માટે અમે અમારી યોજનાઓ પર પુનર્વિચાર કરી રહ્યા છીએ. બ્લૂમબર્ગ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે આવનારા ત્રણ વર્ષમાં તેઓ પોતાના કર્મચારીઓની સંખ્યા 2,35,000થી ઘટાડીને 2,00,000 કરશે.