સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોનાં નામે આપવામાં આવેલા બંધ બાદ શાહઆલમ અને મીરજાપુરમાં થયેલા હિંસક તોફાનમાં કેન્દ્રીય ગૃહ વિભાગે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. આજે વહેલી સવારથી શહેરના શાહઆલમ, લાલ દરવાજા, મીરજાપુર તેમજ લધુમતી વિસ્તોરમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો અને પોલીસ કર્મચારીઓને હેલ્મેટ તેમજ બોડીપ્રૂફ જેકેટ આપી દીધાં છે.
શાહઆલમમાં વિરોધનો મામલો
પબ્લિક પ્રોપટી ડેમેજ એકટ હેઠળ ગુનો
32 આરોપીઓ વોન્ટેડ દર્શાવાયા
મુફિસ અહેમદ અનિસ અંસારી સામે ફરિયાદ
આ લખાય છે ત્યાં સુધી સંવેદનશીલ વિસ્તારોમાં જનજીવન સામાન્ય છે. આજે જુમ્માની નમાજ પછી અમદાવાદ સહિત દેશભરમાં કેટલાંક મુસ્મિલ સંગઠનોએ શાંતિપૂર્ણ રેલીનું આયોજન હોવાના મેસેજ વાયરલ થયા છે.
જોકે શહેર પોલીસે આવી કોઇપણ પ્રકારની મંજૂરી આપી નથી. પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ તેમજ અન્ય સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરી દીધા છે. આજે સવારથી જ શાહઆલમમાં અજંપાભરી શાંતિ હતી અને વેપારીઓએ દુકાનો ખોલવાનું ટાળ્યું હતું.
શાહઆલમમાં હિંસા મામલે નોંધાઇ ફરિયાદ
અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસા મામલે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.. પોલીસ દ્વારા IPC કલમ 307, 337, 333, 143, 145, 147, 151, 153 ગુનો દાખલ કરવામાં આવ્યો છે.. સાથે જ 3, 7, 188,120b,34, જીપી એક્ટ 135 તથા પબ્લિક પ્રોપટી ડેમેજ એકટ હેઠળ ગુનો નોંધાયો છે.
આ મામલે આરોપી મુફિસ અહેમદ અનિસ અંસારી સામે પણ ફરિયાદ થઈ છે. આ ફરિયાદમાં 32 આરોપીઓ નામ જોગ વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. CAAના વિરોધમાં શાહઆલમમાં રેલી યોજાઈ હતી. આ રેલી દરમિયાન અસામાજીક તત્વોએ પોલીસે પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં 19 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા 25 ટીયર ગેસ સેલ છોડવામાં આવ્યા હતા.