હાઇકોર્ટે GPCBને જવાબ રજૂ કરવા આદેશ કર્યો ઉપરાંત કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્થળ પર જઈ તપાસ કરી શકશે
સાબરમતીમાં પ્રદૂષણને લઇ HCની નારાજગી
હાઇકોર્ટે સત્તાધીશોને કરી ટકોર
"અઘિકારીઓ કેમ એકમોને છાવરે છે"
સાબરમતીમાં પ્રદૂષણને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે સત્તાધીશોને ટકોર કરી. અને કહ્યું કે જે નદી પર ગૌરવ લઈએ તે પ્રદુષિત થાય તો કેમ ચલાવી લેવાય. સત્તાની ટોચે બેસેલા અધિકારીઓ કેમ એકમોને છાવરે છે. હાઇકોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અને કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્થળ પર જઈ તપાસ કરી શકશે. હાઇકોર્ટે કહ્યું કે સાબરમતી નદીને પ્રદુષિત કરતા એકમોને છોડવામાં નહીં આવે. સાબરમતી ગુજરાતનું ગૌરવ છે અને દેશમાં ગંગા નદી પછી સૌથી વધુ સાબરમતી નદીને સાફ રાખવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરાય છે છતાં પણ સાબરમતીના દુશ્મનો સરેઆમ સાબરમતીને ગંદી કરી રહ્યા છે ત્યારે હવે હાઈકોર્ટ સાબરમતી નદીને લઈને મેદાને આવી છે. અને કહ્યું છે કે જે નદી પર ગૌરવ લઈએ તે પ્રદુષિત થાય તો કેમ ચલાવી લેવાય ?
જજ પણ લઈ શકે છે વિઝિટ
સત્તાની ટોચે બેસેલા અધિકારીઓ કેમ એકમોને છાવરે છે તેવો વેધક સવાલ પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો આ અગાઉ 25 ઓગસ્ટના રોજ પણ સાબરમતી પ્રદૂષણ મામલે હાઇકોર્ટે GPCB અને તંત્રને ફટકાર લગાવી હતી. અધિકારીઓ પર ભરોસો ન રાખતા હવે ખુદ જજ પણ કરી સાબરમતી નદીમાં થતાં પ્રદૂષણને રોકવા સાબરમતી નદીની વિઝિટ લઈ શકે છે. કોર્ટે પહેલાથી જ કોર્ટ મિત્ર હેમાંગ શાહ સ્થળ તપાસ માટે નિમણૂક કરી દીધી છે ત્યારે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોર્ટ મિત્ર સાથે જજ પણ આવા એકમોની વિઝીટ કરી શકે છે સાથે જ જે એકમો પ્રદુષિત પાણી છોડે છે તેનું નિરીક્ષણ કરવા કોર્ટ મિત્રને છૂટ કોર્ટ તરફથી આપી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે 2014માં સાબરમતી નદીની જાળવણી માટે 400 કરોડની ફાળવણી કરી
અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે. કંપનીઓ દ્વારા નદીમાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. સુએજ ફાર્મ વિસ્તારમાં કેટલીક કંપનીઓ નદીમાં પ્રદૂષિત પાણી છોડી રહી છે. અને પ્રદૂષિત પાણી નદીમાં છોડાતું હોવાનો AMCના વકીલે હાઇકોર્ટમાં સ્વીકાર પણ કર્યો હતો. સરકાર સાબરમતી નદીની જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચે છે. ગંગા નદી બાદ સાબરમતી નદીની જાળવણી માટે સૌથી વધુ રૂપિયા ફાળવાયા છે. કેન્દ્ર સરકારે 2014માં સાબરમતી નદીની જાળવણી માટે 400 કરોડની ફાળવણી કરી છે. છતા પણ સ્થિતિ નથી સુધરી. તો મોટો સવાલ એ થાય છે કે સાબરમતીના જાળવણી ખર્ચના રૂપિયાનો દૂરપયોગ થયો છે અને કાં તો 400 કરોડની ગ્રાન્ટ કેન્દ્રએ મોકલાવી ખરી પણ તંત્ર તે કામને જમીન પર ઉતારવામાં તદ્દન નિષ્ફળ રહ્યું છે.
ગત સુનાવણીમાં હાઇકોર્ટે AMC અને GPCBને લગાવી હતી ફટકાર
અગાઉ ગુજરાત હાઇકોર્ટે AMC અને GPCB સામે લાલઆંખ કરી અને સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમો મામલે તંત્રનો ઉધડો પણ લીધો. હાઇકોર્ટે કહ્યું કે AMC અને GPCB પ્રદૂષિત એકમો સામે ગંભીરતા કેમ નથી લેતું?. હાઇકોર્ટે ખુલાસો કરવા AMC અને GPCBને નોટિસ આપી છે. અને કહ્યું છે કે સુએજ ટ્રીટ કર્યા વગર પાણી નદીમાં છોડાય તે ચિંતાજનક બાબત છે તેના પર કોઈ રોક કેમ નથી લગાવતું તંત્ર, મહત્વનું છે કે પીરાણા STPમાંથી ગંદુ પાણી સાબરમતીમાં છોડવામાં આવતા કરવામાં આવેલી અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.જે બાદ આજની સુનાવણીમાં કોર્ટ મિત્રને સાબરમતીના નિરીક્ષણની જવાબદારી સોંપી દઈ અધિકારીઓના કામ બાબતે અનેક સવાલ કર્યા છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
ત્યારે આ સતત કંપનીઓ દ્વારા નદી પ્રદૂષિત કરતા સવાલો ઉઠી રહ્યા છે કે સાબરમતી નદીને પ્રદૂષિત કરનારા પર કાર્યવાહી ક્યારે કરાશે?. GPCB કંપનીઓ સામે કેમ કોઇ કાર્યવાહી નથી કરતું?. GPCBના ભ્રષ્ટ અધિકારીઓને કેટલા પૈસા મળે છે?. કંપનીઓ પૈસા આપી GPCBની આંખો પર પાટા બાંધી દે છે?. GPCB ખાલી નામનું જ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે?. બધાને ખબર છે સાબરમતી નદી પ્રદૂષિત થઇ રહી છે પણ GPCBના અધિકારીઓને નથી દેખાતું?. બધાને ખબર છે ક્યાંથી પ્રદૂષિત પાણી છોડાય છે અને GPCBને નથી ખબર?. GPCBના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા કરે છે શું?. GPCBના અધિકારીઓને ખબર તો છે ને કે તેમનું કામ શું છે?