કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. જોકે આ કોરોના વાયરસનું નામ આ વર્ષના જાન્યુઆરી મહિના પહેલાં કોઈએ સાંભળ્યું પણ નહોતું. જ્યારે આજે કોરોનાનું નામ સાંભળતાં જ ધબકારા વધી જાય છે. ત્યારે VTVGujarati.com ના ધ્યાનમાં એક એવી વ્યક્તિ આવી હતી જેને આજથી એક વર્ષ પહેલાં કોરોના થયો હતો. જો કે તે હાલનો કોવિડ 19 કોરોના વાયરસ નહીં પરંતુ HCov-229E હતો જે પણ એક કોરોના વાયરસનો પ્રકાર છે. અમદાવાદની આ વ્યક્તિને 2019ના જાન્યુઆરી મહિનામાં HCoV-229E કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમણે ગુજરાતના અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને આજે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.
મને જાન્યુઆરી 2019માં કોરોના થયો હતો: અશોકભાઇ
અશોકભાઇની ઉંમર પણ 70 વર્ષથી વધુ હતી
હાર્ટની બીમારી હોવા છતાં અશોકભાઈએ કોરોનાને હરાવ્યો
આ વ્યક્તિનું નામ છે અશોક દેસાઈ, તેઓ અમદાવાદમાં રહે છે અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલાં છે. જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે સૌપ્રથમ તો લાગ્યું કે કોરોનાને હરાવનાર આ શખ્સની ઉંમર 50ની આસપાસ હશે. પરંતુ એ જાણીને નવાઈ લાગ્યું કે તેમની ઉંમર 72 વર્ષની છે અને તેમને કોરોના 71મા વર્ષે થયો હતો. અશોકભાઈને જ્યારે હોસ્પિટલમાં એડમિટ કરાયા હતાં તે દરમ્યાન HCoV-229E કોરોના વાયરસ ડિટેક્ટ થયો હતો. આ કોરોના વાયરસનો એક પ્રકાર છે જે હાલનો 2019-nCOV કે Covid 19 કોરોના છે તેના કરતા થોડો નબળો છે. જો કે તેના લક્ષણો પણ હાલના કોરોનાને મળતા જ આવે છે જેમાં ખાસ કરીને શ્વાસ લેવાની તકલીફ પડે છે. પોતાની સાથે કોરોના પોઝિટિવ વખતે થયેલી તમામ ઘટના અને તેઓેએ કેવી રીતે જીત મેળવી એ વિશે કહેતાં અશોકભાઈ કહે છે કે,
"મને જાન્યુઆરી 2019માં કોરોના થયો હતો. મને અત્યારે જે લક્ષણો કોરોનાના દર્દીને છે એવા બધા જ લક્ષણો હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તાવ પણ હતો. શહેરની એક ખાનગી હોસ્પિટલમાં 10-11 દિવસ ટ્રિટમેન્ટ લીધી હતી. મારી ઉંમર તે વખતે 71 વર્ષની હતી. આમ મારી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી, પરંતુ મારો રિયલ એસ્ટેટનો બિઝનેસ હતો એટલે ઘણા બધા લોકોના સંપર્કમાં આવવાનું થતું હતું."
કેવી રીતે ખબર પડી કે કોરોના થયો
આ વિશે અશોકભાઈ કહે છે કે ત્યારે તો કોરોના વિશે કોઈ એવી અમને જાણકારી ન હતી. પરંતુ અત્યાર જે લક્ષણો બહાર આવ્યા છે તે તમામ લક્ષણો મને જણાયા હતાં. તેમણે કહ્યું કે મને તાવ આવ્યો હતો અને શ્વાસની તકલીફ થતાં મારે એડમિટ થવું પડ્યું હતું. જ્યારે હવે કૉવિડ-19 મહામારી બની ચૂકી ત્યારે આખા વિશ્વમાં કોરોના કોરોના થવા લાગ્યું ત્યારે મારા રિપોર્ટમાં પણ કોરોનાનો (HCoV-229E) ઉલ્લેખ હતો તેથી મને ખ્યાલ આવ્યો કે મને પણ કોરોના વાયરસનું સંક્રમણ થઈ ચૂક્યું છે.
11 દિવસ ટ્રીટમેન્ટ ચાલી હતી
હોસ્પિટલમાં એડમિટ થયા બાદ વિશેની વાત કરતા અશોકભાઈએ કહ્યું કે દાખલ થયા બાદ ઘણાં ટેસ્ટ અને રિપોર્ટ્સ બાદ માલૂમ પડ્યુ હતું કે મને કોરોના છે. ડૉક્ટરોની ટીમ રિસર્ચ કરી મારી ટ્રિટમેન્ટ શરૂ કરી. મને પણ તે સમયે એક અલગ રૂમમાં રાખી આઈસોલેટ કરાયો હતો. મને ICUમાં પણ થોડાં દિવસ રખાયો હતો. ડૉક્ટરો અને નર્સ દર વખતે જ્યારે મારા રૂમમાં આવે ત્યારે ગ્લવ્ઝ-માસ્કની સાથે સેફ્ટીના સાધનો પહેરીને મારા રૂમમાં આવતાં હતા. મારી આ ટ્રીટમેન્ટ આશરે 11 દિવસ ચાલી હતી અને ત્યાર બાદ મેં કોરોનાને હરાવ્યો હતો.
અન્ય બીમારીથી પણ પીડિત હતા છતાં કોરોના કંઈ ન કરી શક્યો
અશોકભાઈના કેસમાં સૌથી મહત્વની વાત એ હતી કે એક તેમની ઉંમર પણ 70 વર્ષથી વધુ હતી જ્યારે તેઓ અન્ય બીમારી જેમ કે ડાયાબીટિસ અને હાયપર ટેન્શનથી પીડિત હતા. છતાં તેમણે આ કોરોના વાયરસને હરાવીને હાલ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં આપણે જોઈએ છીએ કે કૉવિડ-19ના કેસમાં મોટાભાગના મૃત્યુ થતા કેસમાં વૃદ્ધો હોય છે અને અન્ય બીમારીના દર્દીઓ હોય છે. આવામાં અશોકભાઈએ આ તમામ પરિબળોથી વિપરિત કોરોના (HCov-229E)ને મહાત આપી હતી.
પોઝિટિવ એટિટ્યૂડથી કોરોનાને હરાવી શક્યો
અશોકભાઈએ કોરોનાને મહાત આપ્યા બાદ હાર્ટની બિમારીને પગલે માર્ચ મહિનામાં બાયપાસ સર્જરી પણ કરાવી ચૂક્યાં છે. આવામાં 71 વર્ષની ઉંમર અને હાર્ટની બીમારી હોવા છતાં અશોકભાઈ કહે છે કે મારી હકારાત્મક માનસિકતા અને મક્કમ મનોબળને કારણે જ હું કોરોનાને હરાવી શક્યો હતો.
કોરોનાના દર્દીઓને સંદેશ
તેઓ કહે છે કે "મારા પોઝિટિવ એટીટ્યુડ અને મારી મક્કમતાએ મને કોરોના વાયરસથી જીતાડ્યો. હું વર્ષોથી રોજ સવારે 4 વાગ્યે ઉઠી ધ્યાન કરૂં છું. મારી આ વર્ષોની મહેનત મને કામ લાગી હશે તે માનું છું. ધ્યાનની ઊર્જાથી કપરી પરિસ્થિતિમાં વીલ પાવર સ્ટ્રોંગ રાખ્યો અને શરીરએ અરસામાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવી એટલે કોરોનાથી જીતી શકાયું. અશોકભાઈ કહે છે કે હું આ તમામ લોકોને કહેવા માંગુ છું કોરોનાને હરાવવો હોય તો માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો અને મક્કમ મનોબળ રાખો કે તમારે કોરોનાને હરાવો છો. આ મનોબળ માત્રથી કોરોના પર જીત મેળવી શકાય છે. આપણી લાઈફ સ્ટાઈલમાં થોડો બદલાવ લાવીને સોશ્યલ ડિસ્ટન્સિંગ અપનાવીશું તો આ કોરોના આપણું કંઈ નહીં બગાડી શકે.