કૃષિ કાયદાને લઈને ખેડૂતોનું આંદોલન દિવસેને દિવસે આક્રમક બની રહ્યું છે. આવતીકાલે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે તો આજેપણ વિપક્ષ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ઠેર-ઠેર ધરણા યોજવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ કેટલાક સંગઠનો આ બંધમાં જોડાવાના છે.
આવતીકાલે ખેડૂતોનું ભારત બંધનું એલાન
ગુજરાતના 17 જેટલા સંગઠનોએ જાહેર કર્યો સપોર્ટ
તો રાજ્યના ઘણા સંગઠનો બંધમાં નહીં જોડાય
ઉલ્લેખનીય છે કે, 13 રાજ્યોના ખેડૂતોએ આંદોલનને સમર્થન આપ્યું અને સરકાર પણ ખેડૂતોને મનાવવા માટેના અથાગ પ્રયાસ કરી રહી છે ત્યારે દિલ્હીમાં ચાલતા આંદોલનને ગુજરાતના ખેડૂતોના વિવિધ 17 જેટલા સગઠનો એક મંચ પર કૃષિ કાયદાનો આવતીકાલે વિરોધ કરવાના છે. જો કે, કેટલાક સંગઠનો એવા પણ છે જે ખેડૂતોના આંદોલનમાં જોડાવાના નથી અને કૃષિ કાયદાનો પ્રચાર કરવાના છે.
ગુજરાતના 17 સંગઠનો બંધમાં જોડાશે
પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, રાજ્યના વિવિધ ખેડૂત અગ્રણીઓ આજે થલતેજ ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યના 17 જેટલા ખેડૂત સંગઠનો હાજર રહીને ખેડૂત સઘર્ષ સમિતિની રચના કરીને આવતીકાલે એટલે કે 8 તારીખના ભારતના બધના એલાનને સમર્થન અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.
કયા કયા સંગઠને આંદોલને કર્યું સમર્થન
ભારતીય કિસાન સંઘ,ખેડૂત સંગઠન,કિસાન કાંતિ સંગઠન, ગુજરાત કિસાન કોગેસ,અન્નદાતા હિત રક્ષક સમિતિ,ઘરતીપુત્ર ટ્રસ્ટ અને ખેડૂત મદદરૂપ સંગઠન, કિસાન એકતા સમિતિ,લોકસાશન ખેડૂત સંગઠન,વડોદરા જિલ્લા ખેડૂત મજૂર સમાજ સહિતના કુલ 17 સંગઠનો આ વિરોધમાં જોડાશે અને વિવિધ જિલ્લામાં ખેડૂત અગ્રણીઓ બંધની સફળતા માટે પ્રયાસ કરશે.
અખિલ ભારતીય કોળી સમાજ કરશે સમર્થન: અખિલ ભારતીય કોળી સમાજ ખેડૂત આંદોલનનાં સમર્થનમાં આવ્યું છે અને ખેડૂતોના ભારત બંધ ને સહયોગ આપવા વિનંતી કરી છે.સુરતના ચંદ્રવદન પીઠાવાલા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણી યોગ્ય હોવાથી સમર્થન કરી રહ્યા છીએ.
ટેક્સટાઈલ લેબર યુનિયન અને ટેમ્પો એસોસિએશ- સુરત: ભારત બંધના એલાનને સુરતના ટેક્સટાઈલ લેબર યુનિયન અને ટેમ્પો એસોસિએશને સમર્થન આપ્યું છે તેથી આવતીકાલે એક દિવસ તમામ મજૂર ભાઈઓ બહેનો કામથી અળગા રહી બંધ પાળશે. નોંધનીય છે કે, ટેક્સટાઈલના લેબર અને ટેમ્પો સેવા બંધ થતાં ટેક્સટાઈલના કરોડોનો વેપાર પર માઠી અસર થશે.
સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ પાળશે: આવતીકાલે ભારત બંધ નું એલાન હોઈ તો ખેડૂતોના સમર્થનમાં સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ આવતીકાલે બંધ રાખીને સહકાર આપશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અને ગોંડલ સહિત જૂનાગઢ જામનગર મોરબી અમરેલી વાંકાનેર હળવદ જેતપુર ઉપલેટા જસદણ જામજોધપુર ખંભાળિયા કાલાવડ ધ્રોલ વિસાવદર મેંદરડા સહિત મોટા ભાગના યાર્ડ બંધ નો નિર્ણય આવી ગયેલ છે. આ અંગેની માહિતી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ આપી હતી.
મહેસાણા જિલ્લાનું એક માર્કેટયાર્ડ બંધ પાળશે : મહેસાણાનું બહુચરાજી માર્કેટયાર્ડ આવતીકાલે બંધ રહેશે, જો કે, જિલ્લાના અન્ય માર્કેટ યાર્ડ ખુલ્લા રાખવાની કરાઈ છે જાહેરાત.
જામનગર: આવતીકાલે જામનગર એપીએમસી રહેશે બંધ
ધનાણીએ ટ્વીટ કરી બંધમાં જોડાવા કરી અપીલ
ખેડૂતોના ભારત બંધને સફળ બનાવવા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને અપીલ કરી હતી. ધાનાણીએ ખેડૂત સંગઠનોએ કાળા કાયદાઓ પરત ખેંચવા આપેલ ભારત બંધને સ્વૈચ્છીક સર્મથન આપવા વિનંતી કરી. તેમણે લખ્યું કે, સરકાર અંધ, ભારત બંધ
""જગતનો તાત, ખુદ જોખમમાં""
ભારતભરનાં ખેડૂત સંગઠનો દ્વારા કાળા
કાયદાઓ પરત ખેંચવા "8" ડિસેમ્બરના
રોજ આપેલા "ભારત બંધ આંદોલન"ને
સ્વૈચ્છીક સર્મથન આપવા..,
સમગ્ર ગુજરાતનાં રાજકિય, સહકારી,
સામાજિક,વ્યાપારિક,શ્રમિક,ટ્રાન્સપોર્ટ
અને ખેડૂત સંગઠનોને વિનંતી કરૂ છુ..!#સરકાર_અંધ_ભારત_બંધ
ધારાસભ્યોની મિટિંગમાં પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આવતીકાલે તમામ APMC બંધ પાળે તેવા પ્રયાસ કરશે. આ અંગે દરેક ધારાસભ્યએ પોતાના વિસ્તારનું APMC બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે અને ખેડૂતો અને વેપારીઓને સમજાવીને કોઇપણ પ્રકારના ઘર્ષણમાં પડ્યા વગર બંધના અમલ માટે કોંગ્રેસ પ્રયાસ કરશે.
કોણ નહીં કરે સમર્થન ?
અમદાવાદના APMC: અમદાવાદ જિલ્લા ખાતે આવેલા જમાલપુર,વાસણા,સાણંદ,બાવળા, જેટલપુર અને ધોળકા સહિતના તમામ APMC બંધને સમર્થન જાહેર કર્યું નથી. તો તમામ APMC બહાર ભાજપનાં કાયદા સમર્થનના લાગ્યા બેનરો પણ લગાડવામાં આવ્યા છે. આ બેનરોમાં એક તરફ જુઠાણું અને બીજી તરફ હકીકતના લખાણ અને PMના ફોટો વાળા બોર્ડ લગાવવામાં આવ્યા હતા.
રાજકોટઃ દિલ્હીના ખેડૂત આંદોલનને ભારતીય કિસાન સંઘે ટેકો આપવાનો ઇન્કાર કર્યો હતો. તો આંદોલનનાં નામે રાજકારણ રમાતુ હોવાનો સણસણતો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
ટ્રેન્ડપોર્ટ એસોસિએશન બંધ નહીં પાળે: ટ્રેન્ડપોર્ટ એસોસિએશને ભારત બંધને સમર્થન આપ્યું નહીં હોવાથી ટ્રાન્સપોર્ટ આવતી કાલે રાબેતા મુજબ રહેશે ચાલુ રહેશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ નથી સપોર્ટમાં :
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આવતીકાલના બંધમાં જોડાવાના નથી અને આવતીકાલે વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખશે તેવી ચેમ્બર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત ભાજપ કિસાન મોરચો: ગુજરાત ભાજપ કિસાન મોરચો કિસાન બિલનો હકારાત્મક પ્રચાર કરશે અને બંધમાં નહીં જોડાય. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની હાજરીમા ભાજપ કિસાન મોરચાની આજે ખાસ વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી જેમાં આવતીકાલના બંધને લઇને ચર્ચા કરવામાં આવી હતી.