અમદાવાદના બોપલમાં આજે એક દુઃખદ ઘટના બની. બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે આવેલી પાણીની ટાંકી ધરાશાયી થઇ. જેના કારણે 3 લોકોના મોત થયા અને બીજા 9 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. લોકોનો આક્ષેપ છે કે, જર્જરિત ટાંકી વિશે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં તંત્રએ ઉપેક્ષા જ દાખવી. જોઈએ ઊંઘતા તંત્ર અને મોતને ભેટતા નાગરિકોનો આ અહેવાલ.
ધડાકાભેર તૂટી ટાંકી
એક તરફ શહેરમાં નવા નવા પ્રોજેક્ટોના બાંધકામ ચાલું છે ત્યારે બીજી તરફ વર્ષો જૂના જર્જિરત બાંધકામો હટાવવા તંત્ર ઘોર ઉપેક્ષા દાખવી રહ્યું છે. તેના કારણે કેવી કરુણાંતિકા સર્જાય છે તે આજે બોપલ ખાતે આવેલી ટાંકી પડી જતાં અને ત્રણ ત્રણ જિંદગીઓનો ભોગ લેવાયા બાદ વાત સમજાઈ છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે 1 લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની જર્જરિતટાંકી ધકાડાભેર તૂટી પડી જેની નીચે 10 જેટલા લોકો દટાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, દટાયેલા લોકો પૈકી 3 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય દટાયેલા છ લોકોને રેસ્કયૂ કરી બહાર કઢાયા હતા. જેમાંથી હજું કેટલાકની હાલત ગંભીર છે. બપોરે 12 વાગ્યા આસપાસ આ દુર્ઘટના સર્જાઈ તે પહેલા બરાબર ટાંકીની નીચે આવેલા કેટરર્સના એક શેડ નીચે કેટલાક લોકો કામ કરી રહ્યા હતા.
3 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત
જર્જરિત ટાંકી પડી તો તેમાંથી 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થઈ ગયાં. આ દુર્ઘટનામાં જે ત્રણ વ્યક્તિઓ મોતને ભેટી તેમના નામ આ પ્રમાણે છે. રવિ જાદવ, રામદરી કુશવાહ, વિક્રમ ભૌમિક તો આ દુર્ઘટનામાં જે ઈજાગ્રસ્ત થયા છે તેમના નામ આ પ્રમાણે છે. સુશીલ દિવાકર, અજય દિવાકર , જયરામ અઠ્ઠાદારામ, કિશોર, ચેહર ઠાકોર
ટાંકી પડવાની દુર્ધટના બાદ અમદાવાદ ફાયર વિભાગની ટીમ તત્કાલ ઘટના સ્થેળે આવી ગઈ હતી અને ભોગ બનેલાઓને હોસ્પિટલ ખસેડયા હતા. આ સાથે જ ટાંકીના કાટમાળ નીચે ફસાયેલા લોકો બહાર કાઢવા બચાવ અભિયાન હાથ ધર્યું હતું. ટાંકીના કાટમાળ ખસેડવાની કામગીરી પણ ત્વરિત શરૂ કરી દીધી હતી.
અમિત શાહે AMC તંત્રને આપી મદદ કરવાની સૂચના
આપને જણાવી દઇએ કે, હાલ મુખ્યમંત્રી વિદેશપ્રવાસે છે. તેમણે પણ કલેક્ટર વિક્રાંત પાંડે સાથે વાત કરીને માહિતી મેળવી હતી. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતશાહે પણ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક મદદ કરવા AMC તંત્રને સૂચના આપી હતી.
નોંધનીય છે કે, ઘટના બાદ કલેક્ટર વિક્રાંત પાંડેએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી પર દેખરેક રાખી હતી અને ઘટનાના કારણો શોધવા તપાસ શરૂ કરી હતી.તેમનું કહેવું છે કે, આ ઘટનામાં જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાયદેસરના પગલા લેવાશે અને ટાંકી જર્જરિત હોવાની કોઈ ફરિયાદ મળી કે નહી તે અંગે તપાસ કરાશે.
બોપલ સ્થિત ધડાકાભેર તૂટી પડેલી ટાંકી આસપાસ રહેતા લોકો આ ઘટનાથી હતપ્રભ બની ગયા છે. તેમણે તંત્ર પર આક્ષેપ શરૂ કર્યા છે. તેમનું કહેવું છે કે, જર્જરિત ટાંકી હટાવવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં તંત્રએ ધ્યાન દોર્યું નથી. પરિણામે આ દુર્ઘટના સર્જાઈ છે.
ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા શું મારવા જેવા હાલ
વર્ષો સુધી લોકોની ફરિયાદ ન સાંભળનાર તંત્ર હવે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળ્યું છે. ટાંકી તૂટી પડી અને 3 વ્યક્તિઓનો ભોગ લેવાયો પછી તંત્રએ જે અજબ સ્ફૂર્તિ દાખવી છે તે કદાચ આજથી એક વર્ષ પહેલા દાખવી હોત તો ઘટના ન સર્જાઈ હોત. પરંતુ કદાચ તંત્ર એવું માને છે કે, ગરીબોના જીવની કિંમત માત્ર 3 લાખ રૂપિયા છે.
CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
હવે બોપલમાં ટાંકી તૂટવાનો મામલે CM રૂપાણીના આદેશ બાદ તપાસ કમિટીની રચના કરાઇ છે. સાણંદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, તપાસ નામે કુલડીમાં ગોળ ભંગાય છે કે પછી ભવિષ્યમાં આવી ઘટના નિવારવાના પગલાં પણ લેવાય છે?