ગુજરાત પર જ્યારે સંકટના વાદળો છવાયે છે ત્યારે ત્યારે પ્રજાએ ચૂંટેલા કોંગ્રેસના ધારાસભ્યો રાજ્ય બહાર રિસોર્ટમાં મજા માણતા હોય છે. હાલ કોરોનાને પગલે આખુ ભારત જ નહીં વિશ્વ સ્તબ્ધ છે અને ગુજરાતીઓને પોતાના પ્રતિનિધિઓની જરૂર છે ત્યારે તે જયપુરના રિસોર્ટમાં જલસા કરી રહ્યા છે. 2017માં પણ આ જ રીતે કર્ણાટકના બેંગલોરમાં 44 ધારાસભ્યો સાથે કોંગ્રેસ ચાલી ગયુ હતુ ત્યારે ઉત્તર ગુજરાતમાં પુર આવ્યુ હતુ. જેમાં 4.5 લાખ લોકો ફસાયા હતા. આ ચર્ચાએ હાલ કોંગ્રેસનું ટેન્શન વધાર્યુ છે.
ગુજરાતમાં કોંગ્રેસી ધારાસભ્યો કાયમ કેમ કામના સમયે ગેરહાજર?
આવું વારંવાર બને છે, તે માટે કોણ જવાબદાર?
કોંગ્રેસની કમનસીબી કે, પ્રજાની બલિહારી?
તાજેતરમાં જ કોંગ્રેસ પોતાના 66 ઉમેદવારોને જયપુર ભવ્ય રિસોર્ટ શિવવિલાસ રિસોર્ટમાં ખદેડી ગઈ છે. કોંગ્રેસની સરકાર વાળા રાજસ્થાનમાં તેમને માટે તમામ સુખ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પણ અત્યારે જ ગુજરાત જ નહીં આખા ભારત ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે અને કોંગી ધારાસભ્યો મજા કરી રહ્યા છે. 2017માં પણ ઉત્તર ગુજરાતમાં 4.5 લાખ લોકો પુરમાં ફસાયા હતા અને કોંગ્રેસના ધારાસભ્યો બેંગલોરમાં રિસોર્ટમાં મજા કરી રહ્યા હતા. આવો ગણગણાટ કોંગ્રેસની ઉંઘ હરામ કરી રહ્યો છે.
2020ની પરિસ્થિતિ
26મી માર્ચે 2020ના ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી થવાની છે જેને પગલે ફરી એકવાર ભાજપ દ્વ્રા કોંગ્રેસના ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. 2017માં પણ આ જ રીતે 3 બેઠકો માટે રાજ્યસભાની બેઠક વખતે રસાકસી થઈ હતી અને આ વખતની જેમ કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સનો સહારો લીધો હતો.
2017માં44 ધારાસભ્યોને લઈ જવાયા હતા બેંગલોર
2017માં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી લડાઈ હતી જેમાં પણ કોંગ્રેસે રિસોર્ટ પોલિટિક્સનો ઉપયોગ કર્યો હતો. અને ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોવા છતાં ગુજરાત કોંગ્રેસના 44 ધારસભ્યો બેંગ્લોરમાં વૈભવી રિસોર્ટમાં મજા કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતુ. કોંગ્રેસે પોતાના ધારાસભ્યો માટે બેંગ્લોરના ઈગલટન રિસોર્ટ ખાતે કરાઓકે નાઈટનું આયોજન કર્યું હતું. કર્ણાટક સરકાર દ્વારા આ ધારાસભ્યો માટે મજાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
2017માં પણ પૂર આવ્યુ હતુ
અંદાજે 44 જેટલા ધારાસભ્યોને રાજીનામાં આપવાથી તેમજ ભાજપમાં જોડાવાથી અટકાવવા માટે ગુજરાતથી સીધા બેંગ્લોરના ઈગલટન નામના વૈભવી રિસોર્ટ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેમાં ગુજરાતના અંદાજે 4.5 લાખ લોકોને કફોડી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પૂર દરમિયાન સેના, એર ફોર્સ અને નેશનલ તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર દ્વારા 39,000 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર અને 11400 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પણ કોંગ્રી ધારાસભ્યો ગેરહાજર હતા.
શું થયુ દિલ્હીમાં?
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ 5 ધારાસભ્યોની વિકેટ પડી ગઈ છે જેથી કોંગ્રેસે 66 ઉમેદવારોને રાજ્સથાન ખસેડ્યા હતા. અને કોંગ્રેસનો જંગ ભાજપ કરતા કોંગ્રેસના બે ઉમેદવારો માટે જ થઈ ગયો હતો. દિલ્હીમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના બંન્ને ઉમેદવારો ચૂંટણી લડશે. કોંગ્રેસના એકપણ ઉમેદવાર ફોર્મ પરત નહી ખેંચે.
પહેલા નંબર પર શક્તિસિંહ ગોહીલ રહેશે ઉમેદવાર
બીજા નંબર પર ભરતસિંહ સોલંકી ઉમેદવાર રહેશે
રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ હજુ પણ મુંઝવણમાં છે. એકપણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતાં હજુ પણ મડાગાંઠ યથાવત્ છે. બન્ને ઉમેદવારોને હાઈકમાન્ડ દ્વારા સતત મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં શક્તિસિંહ અને ભરતસિંહ વચ્ચે સ્પર્ધા યથાવત્ છે. સભ્યો ઓછા હોવાના કારણે બન્ને ઉમેદવારોને હાઈકમાન્ડ દ્વારા મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.