મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત પર કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે હવે આ અંગે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ગઇકાલે 283 અને ચૂંટણી બાદ આજે 315 નવા કોરોનાના કેસ નોંધાયા
રાજ્યમાં વધી શકે છે કોરોનાના કેસઃ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસો.
અમદાવાદમાં કોરોના ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા
રાજકોટમાં 30ના બદલે હવે 50 કેસ નોંધાઇ રહ્યા છે
મહારાષ્ટ્રને કારણે સુરતમાં કેસો વધ્યાઃ ડૉક્ટર આશિષ નાયક
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ગઇકાલે એક દિવસમાં કોરોનાના 283 નવા કેસ નોંધાયા હતા. જોકે દેશના 6 રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ છેલ્લા એક દિવસમાં 6281 કેસ નોંધાયા છે. જે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાત માટે ચિંતાની બાબત છે. તેવામાં હવે ડૉક્ટરો પણ ચેતવી રહ્યા છે.
ગઇકાલે 283 અને ચૂંટણી બાદ 315 નવા કોરોનાના કેસ
મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં ચૂંટણી બાદ કોરોનાના કેસ વધી રહ્યા છે. સરકારના આંકડા અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 315 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતનો કોરોનાનો કુલ આંકડો 2,67,419 પર પહોંચ્યો છે. આજે 272 દર્દીઓ સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,61,281 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં તો હાલ 1732 એક્ટિવ કેસ છે. જેમાં 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,406 પર પહોંચ્યો છે.
મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા જ શહેરોમાં કોરોનાના કેસ વધ્યા
ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પહેલા જ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હતો. જોકે નેતાઓની સભામાં અને પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો, ભીડ ભેગી કરી અને હવે શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
પાડોશી રાજ્યોમાંથી ગુજરાત આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનીંગ થશે
ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર ચેકપોસ્ટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ મુસાફરોનું સ્ક્રીનીંગ હાથ ધરવાનું નક્કી કર્યું છે. વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનો પર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે. તો સાથે રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે.
8 લાખથી વધુ વ્યક્તિઓને અપાયો વેક્સિનનો પ્રથમ ડોઝ
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,13,582 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચૂક્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસો.એ મુખ્યમંત્રીને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા
મુખ્યમંત્રી વિજય રુપાણીને એસો.ને પત્ર લખીને રાજ્યમાં માસ્કના નિયમનો કડક અમલ કરવા માંગ કરી છે. રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ કડકપણે અમલ કરવા જણાવ્યું છે. એસો.એ પત્રમાં લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી લોકો બેફિકર બની ગયા છે. રાજ્યમાં કોરોનાને કેસ વધી શકે છે. બીજા રાજ્યમાં કેસ વધી રહ્યા છે.
કોરોનાની નવી પેટર્નને લઈ ડૉ.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા
ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડૉ.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી.
અમદાવાદમાં કોરોના ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા AMC હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોના ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. પબ્લિક પ્લેસ પર ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરાયા છે. અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 210 છે. ટેસ્ટિંગ ડોમ પર કોરોના રેપિડ ટેસ્ટ લોકો કરાવી રહ્યાં છે.
રાજકોટમાં 30ના બદલે હવે 50 કેસ નોંધાઇ રહ્યા છે
રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. અગાઉ રાજકોટ શહેરમાં રોજના 30 થી 35 કેસ આવતા હતા. હવે દરરોજના 50 કેસ આવી રહ્યા છે. ચૂંટણી બાદ તરત જ કોરોનાના કેસ વધ્યા છે. નેતાઓની ભીડ અને નિયમોના ભંગ બદલ કેસ વધ્યા છે.
મહારાષ્ટ્રને કારણે સુરતમાં કેસો વધ્યાઃ ડૉક્ટર આશિષ નાયક
ચૂંટણી પહેલા સુરતમાં દરરોજ 25 કેસ નોંધાતા હતા. હવે સુરતમાં દરરોજ 45 કેસ નોંધાય છે. પાલિકા દ્વારા રાંદેર, અઠવા ઝોનમાં કાર્યવાહી શરૂ કરાઇ છે. પ્રતિબંધિત વિસ્તારના પોસ્ટર લગાવાયા છે. પાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે. ડૉક્ટર આશિષ નાયકે કહ્યું કે, મહારાષ્ટ્રને કારણે સુરતમાં કેસો વધ્યા છે. સુરતમાં ટેસ્ટિંગ વધતા કેસો વધ્યા છે.
વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ અલર્ટ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા વલસાડમાં તંત્ર અલર્ટ થયું છે. વલસાડના ભીલાડ ચેકનાકા પર મહારાષ્ટ્રથી આવનારા લોકોનું સ્ક્રિનિંગ કરાયું છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ ન વધે તે માટે સ્ક્રિનિંગ કરાઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં નોકરી કરતા લોકો ભીલાડ ચેકપોસ્ટથી વલસાડમાં પ્રવેશ કરે છે.
ગુજરાતમાં 21 ફેબ્રુઆરીએ નોંધાયેલા કોરોનાના કેસ
ગઇકાલે એક દિવસમાં કોરોનાના 283 નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં રાજ્યમાં કોરોનાથી 264 દર્દીઓ સ્વસ્થ થયા હતા. ગુજરાતમાં કોરોનાથી એક દિવસમાં એકનું મૃત્યુ થયું હતું.
કોરોનાના વધતા કેસ બાદ કેન્દ્રએ રાજ્યોને કર્યો આદેશ
દેશના 6 રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કોરોનાના ટેસ્ટ વધારવા માટે નિર્દેશ કર્યો છે. કેન્દ્ર તરફથી રાજ્યોને ફરી એકવાર પત્ર લખવામાં આવ્યો છે. તાત્કાલિક પ્રભાવથી RT-PCR ટેસ્ટ વધારવા માટે આદેશ કર્યો છે. સાથે જ રેપીડ ટેસ્ટ નેગેટિવ આવવા પર ET-PCR ટેસ્ટ ફરજિયાત કરવા માટે કહેવાયું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા એક દિવસમાં 6281 અને કેરળમાં 4650 કેસ નોંધાયા છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્ર અને કેરળમાં દેશના 74 ટકા દર્દી છે. કેરળના અલપુઝા જિલ્લામાં સંક્રમણ દર 10.7 ટકાએ પહોંચી ગયો છે. જ્યારે મહારાષ્ટ્રના અકોલામાં સંક્રમણ દર 55 ટકા છે. જે દેશમાં સૌથી વધુ છે.
મંત્રાલયે કહ્યું કે કેટલાક રાજ્યમાં કેસ વધી રહ્યા છે. ત્યાં પ્રભાવિત જિલ્લામાં જીનોમ સિક્વેન્સિંગ વધારવાની જરૂર છે. આ જિલ્લામાં વાયરસનો નવો સ્ટ્રેન હોઈ શકે છે. બીજી તરફ મહારાષ્ટ્રના અમરાવતીમાં એક સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ પૂણેમાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. કોરોનાને લઈને CM ઉદ્ધવ ઠાકરેની જનતાને ચેતવણી આપી હતી કે, કોરોનાની સ્થિતિ વકરશે તો લોકડાઉન લગાવીશું.