ગામડાઓમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતા 10 હજારથી વધુ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર આંદોલન અને વારંવાર હડતાળ કરી રહ્યા છે. ત્યારે જાણો શું છે તેની માંગ ? સમજો સરળ ભાષામાં...
ગુજરાતના 10 હજારથી વધુ VCE કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધ
રાજ્ય સરકારે કર્મચારીઓને અનેક વખત બાહેંધરી આપી હતી
વર્ષો જૂની માંગ હજુ સુધી નથી પૂર્ણ થઇ, સરકાર આપી રહી છે બાહેંધરી
ગુજરાતમાં ચૂંટણી પહેલા વિવિધ કર્મચારી મંડળ પોતાની પડતર માગોને લઇને સરકાર સામે મેદાને પડ્યા છે. આશાવાદ એવો છે કે આ જ સમય છે જ્યારે સરકાર તેમની માગોને સ્વીકારશે અથવા તો પોતાના તરફી સમાધાન લાવશે. ત્યારે હાલ રાજ્યમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મી હડતાળના મૂડમાં છે. તેમની વર્ષોથી ન સંતોષાયેલી માગોને રાજ્ય સરકાર સમક્ષ મૂકી છે.
VCE હડતાળ પર કેમ ?
રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી ફરજ બજાવતા હોય છે. ગુજરાતમાં 10,000થી વધુ VCE(ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક) ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત કામ કરે છે. જેમાં તેઓ મહેસુલ, અન્ન પુરવઠા, પંચાયત, ચૂંટણી સહિતની કામગીરી કરતા હોય છે પરંતુ તેઓને પગારની જગ્યાએ 1 રૂપિયો કમિશન મળતુ હોવાથી તેઓ પગાર સહિતની માગને લઈ હડતાળ અને આંદોલનો કરી રહ્યા છે. 15 વર્ષ કરતાં વધુ સમયથી સરકારના એક ભાગ તરીકે ગ્રામ પંચાયતોમાં કામ કરતા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકોએ સરકારી કર્મચારી અને સરકારી ધોરણે પગાર મેળવવાની માંગ સાથે શુક્રવારે એક દિવસની હડતાળ કરી હતી. સરકાર દ્વારા તેમના પ્રશ્નોના ઉકેલની મૌખિક ખાતરી આપવામાં આવી રહી રહી હોવાના આક્ષેપ સાથે VCE કર્મીઓ વિરોધ કરી રહ્યા છે. રાજ્યના અંદાજિત 11,000થી વધુ VCE કામગીરીથી અળગા થયા હતા. જેને લઇને ગામડાંઓમાં ખેડૂતલક્ષી રાજ્યસ્તરની વહીવટી કામગીરી ખોરવાઇ હતી. ત્યારે હવે જો સરકાર દ્વારા માંગણીઓનો સ્વિકાર નહીં થાય તો VCE કર્મચારીઓ 5 ઓક્ટોબરે કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી કરશે એવું નક્કી કરવામાં આવ્યું છે.
અનેક વખત આંદોલન, અનેક વખત માત્ર બાહેંધરી, ઉકેલ નહીં
અગાઉ પણ આ સંગઠન દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી અને હડતાળ પણ કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા તેમના પ્રશ્નોના ઉકેલની મૌખિક ખાતરી આપવામાં આવી હતી. ગત મહિને મંત્રી બ્રિજેશ મેરજા સાથે VCEના આગેવાનોની બેઠક મળી હતી. બાદમાં હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી. બાદમાં કર્મચારી આગેવાનોએ વધુ ચર્ચા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાતનું આયોજન કરાયું હતું. ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક (ઓપરેટર) મંડળના મહામંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા આંદોલન કર્યું હતું ત્યારે સરકારે ખાતરી આપી હતી, તેમ છતાં હજુ પ્રશ્નો ઉકેલાયા નથી. સરકાર માંગણીઓ નહી સ્વીકારે તો આગામી સમયમાં રાજ્યકક્ષાએ આંદોલન કરવામાં આવશે તેવી VCE કર્મચારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.
VCE કર્મી શું કામ કરે છે?
રાજ્યની ગ્રામપંચાયતોમાં 10 હજારથી વધુ VCE કર્મી છે
રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે
સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે
સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતનની માગ
VCE કર્મીને કાયમી કરી સરકારી કર્મચારી તરીકે માન્યતા આપવામાં આવે
VCEને રક્ષણ આપવામાં આવે, જોબની સિક્યુરિટી આપવામાં આવે
VCE અને પરિવારને આરોગ્ય સુવિધા આપવામાં આવે, વીમા કવચ આપવામાં આવે
VCEને ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો
ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે
VCEની કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે
(જેથી શોષણ અને ખોટું અધિકારીઓ દ્વારા થયુ દબાણ અટકાવી શકાય)
VCE કર્મીઓ સાથે થતો ભેદભાવ દૂર કરવામાં આવે
હાલ ગામલોકોને શું તકલીફો પડી રહી છે ?
VCE એવા હોદ્દો છે જેમનું કામ પ્રત્યક્ષ રીતે જનતા સાથે જોડાયેલું હોય છે. એટલે જો આ કર્મચારીઓ તેમની માગોને મનાવવા માટે કામોથી અળગા રહે તો મોટી સંખ્યામાં લોકો પરેશાન થાય જ. ગામડાંઓમાં ખેડૂતોની રાજ્યસ્તરની યોજના સંલગ્ન કામગીરી ખોરવાઈ છે. આવકના દાખલા, રાશનકાર્ડ, આયુષ્માન કાર્ડ, 7-12ના ઉતારા, વિધવા સહાયની એન્ટ્રી, E-શ્રમ કામગીરી Dvs E-નિર્માણની કામગીરી સહિતના કાર્યો ખોરવાયા છે. સરકાર માગણીઓ ઝડપભેર ઉકેલે તેવી વીસીઇએ માગણી ઉઠાવી છે. જો આગામી સમયમાં આ કર્મચારીઓ હડતાળ કરે તો ગ્રામ પંચાયતોમાં ડિજિટલ ગુજરાત માટેની દાખલા સહિતની તમામ કામગીરી થંભી જશે.
રાજ્યમાં VCEની હડતાળ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં VCEને ફિક્સ વેતન આપવા અને કમિશન પ્રથા બંધ કરવા માગ કરવામાં આવી છે. કિરીટ પટેલે પત્રમાં હડતાળને કારણે સામાન્ય નાગરિકોને પડતી હાલાકીનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે કહ્યું કે, VCEના લઘુતમ વેતન ધારા અને અધિકારોનો ભંગ થઇ રહ્યો છે. જેથી સરકારે તાત્કાલિક આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની જરૂર છે.
VCE નિયમિત હાજર ન થાય તો પંચાયત નવા VCEની નિમણૂંક કરેઃ વિકાસ કમિશનર
VCEની હડતાળના પગલે વિકાસ કમિશનર એક્શનમાં આવ્યા છે. તલાટીને ગેરહાજર VCEની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો વિકાસ કમિશનરે આદેશ કર્યો છે. VCE નિયમિત હાજર ન થાય તો પંચાયતે નવા VCEની નિમણૂંક કરવા અને ઈ-ગ્રામ કેન્દ્રના કાર્યરત VCEને સંચાલન માટે આદેશ કરાયો છે.
ગત મહિને રાજ્યની તમામ ગ્રામ પંચાયતોનું યોજાયુ હતું સમંલેન
મોરબીના ભરતનગર ગામે આવેલા ભરતવન ખાતે ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયત કચેરીમાં કામા કરતા VCEનું સંમેલન રાખવામા આવ્યું હતું. જેમાં રાજ્યના પંચાયત વિભાગના બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા અને તેને VCEને નજીવું કમિશન આપવામાં આવે છે તેના બદલે પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.