આજે શનિવારે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન જાહેર કરી મોંઘવારી અને બેરોજગારી મામલે સરકારને ઘેરવા પ્રયાસ કરવામાં આવશે.
મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક
સવારે 8થી12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધનું એલાન
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કરી બંધના એલાનની જાહેરાત
મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે શનિવારે કોંગ્રેસે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. સવારે 8થી12 કલાકનું સાંકેતિક રીતે ગુજરાત બંધની પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેરાત કરી છે. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે સ્વૈચ્છિક બંધમા જોડવા લોકોને અપીલ કરી હતી.
મોંઘવારી,બેરોજગારી સહિતના મુદ્દાઓ પર બંધનું એલાન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. તેમાં હવે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે સરકારને ઘેરવા ગુજરાત બંધનું એલાન કરાયું છે. જેને લઇને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અગાઉથી વેપારી એસોસિએશનને મળી વિનંતી કરી હતી. સરકાર દ્વારા હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્યારે આ પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધ જાહેરાત કરાઇ છે.
12 સપ્ટેમ્બર સુધી ટિકિટ વાચ્છુકો દાવેદારી કરી શકશે: જગદીશ ઠાકોર
આ પહેલા જગદીશ ઠાકોરે ઉમેદવારોની પસંદગીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, 'કોંગ્રેસે ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી છે. ઉમેદવારો માટે 130 સૂચનો મળ્યા છે. અંતિમ તબક્કામાં કાર્યક્રમ તૈયાર થયો છે. 12 સપ્ટેમ્બર સુધી ટિકિટ વાચ્છુકો દાવેદારી કરી શકશે. જિલ્લા કોંગ્રેસ કમિટીએ બાયોડેટા 15 તારીખ સુધીમાં પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાના હશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બર ઇલેક્શન કમિટી બેઠક મળશે. દાવેદારોને સાંભળવામાં આવશે અને દાવેદારોની પેનલ બનાવી સ્ક્રિનીગ કમિટી સમક્ષ રજૂ કરાશે.'