ભાવનગર જિલ્લાના રંઘોળામાં થયેલા ગમખ્વાર અકસ્માતની શાહી હજી સૂકાઈ નથી. ત્યાં અમરેલી જિલ્લાના રાજુલાના નિંગાળા ગામ નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 15 ફૂટ ઉંચે પુલ પરથી ટ્રક ખાબકતા સાત વ્યક્તિ કાળનો કોળિયો બન્યા. સાત મૃતકોમાં એક જ પરિવારના 4 સભ્યોનો સમાવેશ છે. તો અકસ્માતમાં 25થી વધુ લોકોને ઈજા થતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નિંગાળા ગામ નજીક ઉના તરફથી મહુવા જઈ રહેલા ટ્રકના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રકમાં 60 જેટલાં લોકો સવાર હતા અને ટ્રક નીચે દબાતા કરૂણાંતિકા સર્જાઈ હતી. મોટી સંખ્યામાં લોકો ટ્રક નીચે દબાઈ જતા તંત્ર દોડતું થયું હતું. તમામ લોકો મહુવા તાલુકાના જાદરા ગામના રહેવાસી છે.
Gujarat: 7 people killed 24 injured after a truck skidded off a bridge at Bhavnagar-Somnath highway in Amreli's Rajula last night.
કોળી પરિવારના સભ્યો સોખડા ગામે સગાઈ પ્રસંગેથી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતના પગલે 108 સહિત 8 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તુરત જ સારવાર આપવમાં આવી હતી. ઘટનાના પગલે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય અમરિશ ડેર સહિત પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી સહિત જિલ્લા એસપી નિર્લિપ્ત રાય એડીશનલ કલેક્ટર સહિત જિલ્લાભરનું પોલીસતંત્ર સહિત સેવાભાવી ઉમટયા હતા.
તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ભરૂચના મંડવા નજીક ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતાં 4 લોકનાં મોત નીપજ્યા છે. તો અકસ્માતમાં સાતથી વધુ લોકોને ઈજા થતા તેઓને સારવાર માટે ખસેડાયા છે. મૃતકોમાં એક બાળકી બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ છે. આ લક્ઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર જતી હતી ત્યારે બસને અકસ્માત નડયો હતો.