જીએસટી નેટવર્ક (GSTN) દ્વારા જીએસટી રિટર્ન ફાઇલિંગનું નવું ઇન્ટરફેસ વર્ઝન ૨૨ ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવશે અને ત્યાર બાદ કરોડો વેપારીઓ માટે જીએસટી રિટર્ન ભરવું ઘણું સરળ બની જશે.
જીએસટી નેટવર્કના સીઇઓ પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે જીએસટી રિટર્ન ફાઇલિંગ ઇન્ટરફેસ માટે વર્ઝન-૨માં મોટા ભાગના સૂચનોને આવરી લેવામાં આવ્યાં છે.
આ મહિનાની ૨૨ તારીખે તેનું ત્રીજું વર્ઝન લોન્ચ કરવામાં આવશે. જીએસટી નેટવર્ક કેન્દ્ર, રાજ્ય સરકારો, ટેક્સ પેયર્સ અને અન્ય સ્ટેક હોલ્ડર્સ માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.
પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે જીએસટી લાગુ પડ્યા બાદ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પહેલા કરતાં ઘણું સરળ બન્યું છે. જીએસટી લાગુ થયો તે પહેલાં ૧૭ કેન્દ્ર અને રાજ્યોના કાયદા હેઠળ ૪૯૫ ફોર્મ હતાં. હવે તે ઘટીને માત્ર ૧૨ થઇ ગયા છે. તેનાથી ટેક્સ ચોરી પર લગામ કસવામાં પણ મદદ મળી છે. જોકે તેમણે એવું પણ જણાવ્યું છે કે ઇન્સમટેક્સ ડિપાર્ટમેન્ટ ટર્નઓવરની રેન્જ અંગે માહિતી મેળવે છે. ટેક્સ પેયરનો સંપૂર્ણ ડેટા શેર કરવામાં આવતો નથી. તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં ૧.૨૩ કરોડ રજિસ્ટર્ડ ટેક્સ પેયર્સ છે.
જીએસટી કાઉન્સિલના સ્પેશિયલ સેક્રેટરી રાજીવ રંજને જણાવ્યું છે કે જીએસટી લાગુ થયા બાદ કેટલાય બિઝનેસને લોજિસ્ટિક ખર્ચ ઘટાડવામાં મદદ મળી છે. સાથે જ જીએસટી દરમાં ઘણી વાર કાપ મુકાયા બાદ વસ્તુની કિંમત ઘટી છે અને મોંઘવારી પર લગામ કસવામાં પણ મદદ મળી છે. જીએસટી પહેલા ભારતમાં કોઇ પણ વસ્તુની કિંમતમાં લોજિસ્ટિક ખર્ચ ૧૪ ટકા જેટલો થતો હતો તે હવે ઘટીને માત્ર ૧૦થી ૧૨ ટકા થઇ ગયો છે.