લોકો પોતાના બાળકોના ભવિષ્ય માટે અથાગ મહેનત કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને સમાજના ગરીબ બાળકોના ભવિષ્યની ચિંતા થતી હોય છે. એ લોકો માત્ર ચિંતા કરીને બેસી નથી રહેતા પરંતુ વંચિત બાળકોના ભવિષ્યને સજાવવા માટે કામ પણ કરતા હોય છે.
જેમણે ક્યારેય સ્વપ્ને નહીં વિચાર્યું હોય કે તેવા બાળકોને ભણાવવાનું પ્રોફેસરે બીડું ઝડપ્યું
બાળકો માટે નિઃશુલ્ક રિક્ષા સુવિધા અને ભોજનની પણ વ્યવસ્થા
પ્રોફેસરે આ રાત્રી શાળાને નામ આપ્યું છે ભાઈબંધની નિશાળ
ભાવનગર યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા ડૉક્ટર ઓમ ત્રિવેદી કંઈક આવી જ માટીના છે. આ અધ્યાપકે ભાવનગરના ગરીબ અને ફૂટપાથ ઉપર રહેતા પરિવારના બાળકોને શિક્ષણ આપવાનું બીડું ઝડપ્યું છે.
કઈ રીતે થઈ રહી છે આ પ્રવૃત્તિ?
કોઈ સરકારી શાળામાં નહીં રાત્રિના આ આછા આછા અંધારામાં `ભાઈબંધની નિશાળ'માં સાક્ષરતાના દીપ પ્રગટાવાનું કામ થઈ રહ્યું છે. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. ઓમ ત્રિવેદીએ ગરીબ અને ફૂટપાથ પર રહેતા બાળકોને શિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું છે. ડૉ. ઓમ ત્રિવેદી હાલ ભાવનગરના પીલગાર્ડનમાં આવેલા રુખડાદાદાના મંદિર પાસે 2 ટ્યૂબલાઈટના અજવાળે રાત્રિ વર્ગ ચલાવી રહ્યા છે. તેઓ અહીં બાળકોને સાહેબ તરીકે નહીં પરંતુ બાળકોના ભાઈબંધ બનીને અક્ષરજ્ઞાન આપી રહ્યા છે. જેમણે ક્યારેય શાળા જોઈ નથી તેવા બાળકોની પાસે બેસીને કક્કો અને બારાક્ષરી શીખવી રહ્યા છે. બાળકો શિક્ષણની આ પ્રવૃત્તિમાં સળતાથી ભળી જાય તે માટે આ પ્રવૃત્તિનું નામ ભાઈબંધની નિશાળ એવું રાખવામાં આવ્યું છે.
જેમણે ક્યારેય સ્વપ્ને નહીં વિચાર્યું હોય કે તેવા બાળકોને ભણાવવાનું પ્રોફેસરે બીડું ઝડપ્યું
ભાવનગરમાં એવા અનેક પછાત વિસ્તારો આવેલા છે જ્યાં વસતા અનેક બાળકોએ ક્યારેય શાળા જોઈ નથી. સરકારના અનેક પ્રયાસો બાદ આજે પણ અનેક બાળકો શિક્ષણ મેળવવાથી દૂર રહે છે. અધ્યાપક ઓમ ત્રિવેદીએ આવા વિસ્તારોમાંથી 29 જેટલા બાળકોનું રજિસ્ટ્રેશન કર્યું છે. ઓક્ટોબર માસમાં જ્યારે રાત્રિ શિક્ષણપ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી ત્યારે 13 બાળકો આવ્યા હતા. હવે જેમ જેમ બાળકોને અભ્યાસ કરવામાં રસ પડવા લાગ્યો છે. તેમ તેમ અહીં આવનારા બાળકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો છે. હાલ આ ભાઈબંધની નિશાળમાં 18 બાળકો ભણવા માટે આવી રહ્યા છે. જેની સંખ્યામાં વધારો થશે ડૉ.ઓમ ત્રિવેદીનું માનવું છે.
બાળકો માટે નિઃશુલ્ક રિક્ષા સુવિધા અને ભોજનની પણ વ્યવસ્થા
ડૉ.ઓમ ત્રિવેદી અને તેમના સહાયકો દ્વારા વંચિત બાળકોના માત્ર શિક્ષણની જ ચિંતા કરવામાં આવે છે તેવું નથી. તેઓ આ બાળકોને અભ્યાસકેન્દ્ર સુધી લાવવા અને ઘરે મૂકવા માટે નિઃશુલ્ક રિક્ષા સુવિધા પણ આપે છે. બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરે છે.
અંધરામાં ફેલાવશે સાક્ષરતાના અજવાળા
આજે પ્રતિષ્ઠિત કહેવાતી ખાનગી શાળાઓમાં અને સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાની ફરિયાદો ઊઠી રહી છે. અનેક શાળાઓમાં દરરોજ મોંધી ફીને લઈને વિવાદના વંટોળ સર્જાતા હોય છે. તેવા સમયે કોઈ અધ્યાપક ગાંઠનું ગોપીચંદન ઘસીને વંચિત બાળકોના શિક્ષણની ચિંતા કરે તે વાત રણમાં મીઠી વીરડી સમાન છે. આવી ઉદાત્ત ભાવના વાળા શિક્ષકો જ્યાં સુધી હશે ત્યાં સુધી ગમે તેવા અંધકારમાં પણ જ્ઞાનના દીપક ઝળહળવાના જ.