અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક ઈલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે.
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન રવિવારથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન સામાજિક કાર્યકર અને ગાંધીવાદી ઈલાબેન ભટ્ટ દ્વારા સ્થાપિત 'સેલ્ફ એમ્પાવર્ડ વુમન એસોસિએશન'ના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ સંસ્થાને 'SEWA'તરીકે ઓળખવામાં આવે છે.
ઈલાબેન ભટ્ટને આપશે શ્રદ્ધાંજલિ
ઈલાબેન ભટ્ટનું ગયા વર્ષે નવેમ્બરમાં નિધન થયું હતું. 'SEWA'ના કાર્યક્રમ સંયોજક રશ્મિ બેદીએ જણાવ્યું હતું કે, હિલેરી ક્લિન્ટન અમદાવાદમાં સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક ઈલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ આપશે અને રવિવારે હિલેરી ક્લિન્ટન અમદાવાદમાં 'સેવા'ની ઓફિસ ખાતે સેવાના સભ્યો સાથે ચર્ચા કરશે.
સોમવારે ધ્રાંગધ્રાની મુલાકાત લેશે હિલેરી ક્લિન્ટન
તેમણે જણાવ્યું હતું કે, 'સેવા'ની ગ્રામીણ પહેલના ભાગરૂપે હિલેરી ક્લિન્ટલ સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને મીઠું પકવતા અગરિયાઓ સાથે વાતચીત કરશે.
જાણો કોણ હતા ઈલાબેન ભટ્ટ?
ઈલાબેન ભટ્ટ કે જેમનો જન્મ 7 સપ્ટેમ્બર 1933માં થયો હતો. તેઓ ગાંધીવાદી વિચારધારાવાળા હતા. ઈલાબેન ભટ્ટના કાર્યની જો વાત કરવામાં આવે તો તેઓએ સેવા (સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન) નામની સંસ્થાની સ્થાપના કરી હતી. સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિએશન એટલે કે સ્વરોજગાર મહિલા સંઘથી ઈલાબેન દ્વારા દેશમાં અનેક એવી સામાજિક, આર્થિક અને સહકારી ક્રાંતિની શરૂઆત થઇ હતી. જેનાથી લાખો મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવી દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા તેઓએ અદા કરી હતી.
તેમના માતાનું નામ માતા વનલીલાન વ્યાસ અને પિતાનું નામ સુમંતરાય ભટ્ટ હતું. પિતા સુમંતરાય ભટ્ટ એક વકીલ હતા જ્યારે તેમના માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા. તેઓની કુલ ત્રણ પુત્રીઓમાંથી ઈલાબેન ભટ્ટ બીજા ક્રમાંકે હતાં. તેઓ અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. વર્ષ 1956માં તેમના લગ્ન રમેશભાઈ ભટ્ટ સાથે થયા હતા.
ઈલાબેનને વર્ષ 1977માં રોમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા. તેઓને 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો હતો. 1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો હતો અને તેમને વર્ષ 1986માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2011માં ઇન્દિરા ગાંધી શાંતિપુરાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2 નવેમ્બર 2022ના રોજ ઈલાબેનનું 89 વર્ષની વયે નિધન થયું હતું.