પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે કોઇપણ સૂચના આપ્યાં વગર સતલજ નદીમાં બે લાખ ક્યૂસેક પાણી છોડી દીધું જેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે. પાકિસ્તાને સોમવારે કહ્યું કે ભારત 1960ની સિંધુ જળ સમજૂતિ હેઠળ સૂચના નહીં આપી રહ્યું જે ચિંતાજનક છે.
પાકિસ્તાને ધમકી આપતાં કહ્યું છે કે તેઓ પોતાના અધિકારીની સુરક્ષા માટે દરેક વિકલ્પનો ઉપયોગ કરશે. જો કે ભારતે પાકિસ્તાનના આ દાવાને ફગાવી દીધો છે.
પાકિસ્તાનના જળ સંશાધન મંત્રી ફૈસલ વાવદાએ પૂરને લઇને ભારતને દોષીત જણાવતાં કહ્યું કે ભારત પાકિસ્તાનને પૂરની સૂચના આપવા માટે કટિબદ્ધ છે પરંતુ તે તેમા નાકામ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સમજૂતિ હેઠળ બંને દેશ વચ્ચે રાવી, સતલજ અને વ્યાસ નદીમાં પાણી છોડવાને લઇને એકબીજાને જાણકારી આપતાં હોય છે.
પાકિસ્તાને પંજાબ અને ખૈબર પખ્તૂનખા પ્રાંતોના અધિકારીઓને સતલજ અને અલચી ડેમમાં પાણી છોડ્યાં બાદ પૂર સંબંધિત એલર્ટ જાહેર કર્યું છે. એક રિપોર્ટ મુજબ પંજાબ અને પીડીએમએ દ્વારા સોમવારના રોજ જિલ્લાના ગંડા સિંહ ગામમાં 125,000 અને 175,000 ક્યૂસેક વચ્ચે પૂરનું પાણી પહોંચવાની શક્યતા છે.
પીડીએમ ખૈબર પખ્તૂનખાના મહાનિદેશકે રવિવારે કહ્યું હતું કે ભારત તરફથી અચાનક અલચી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સિંધુ નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન ભારત વિરુધ્ધ નિવેદન આપી રહ્યું છે. કાશ્મીર મામલે વૈશ્વિક સમર્થન નહીં મળતાં પાકિસ્તાન હતાશ જોવા મળી રહ્યું છે.