મુંબઇના લોકમાન્ય તિલક કુર્લા ટર્મિનસ પર કોલકત્તાથી આવી પહોંચેલી શાલીમારી એક્સપ્રેસમાં વિસ્ફોટક મળવાથી ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે નવી મુંબઇના એક પુલની દિવાલ પરથી આતંકી સંગઠન ISIS ના વખાણ કરતા લખાણો જોવા મળ્યા હતા. જેને પગલે હાલ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે ત્યારે આજરોજ એક ટ્રેનના ડબ્બામાંથી વિસ્ફોટક મળી આવતા સ્થાનિક તંત્ર દોડતું થયું હતું.
આ ઘટના અંગેના સમાચાર આસપાસના વાતાવરણમાં ફેલાતા સ્ટેશનમાં દોડધામ મચી જવા પામી હતી, જો કે, કોઇ અઘટિત ઘટના ન બને તે માટે યુદ્ધના ધોરણે સ્ટેશન ખાલી કરાવવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
શાલીમાર એક્સપ્રેસમાંથી મળી આવ્યો વિસ્ફોટક
આતંકી કરતૂતની આશંકા પર મુંબઇમાં હાલ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ સાથે જ મુંબઇના કેટલાક વિસ્તારોમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ કોઇ વ્યક્તિ દ્વારા જાણી જોઇને કરવામાં આવેલ હરકત છે. મળી આવેલ વિસ્ફોટકોના તાર જોડવામાં આવેલ નહોંતા અને તેમાં ડેટોનેટર પણ જોવા મળ્યા નથી.
વિસ્ફોટક સાથે મળી આવ્યો સંદેશ જેમાં લખ્યું હતું કે, ભાજપને દેખાડી દેજો
જે સ્થળેથી વિસ્ફોટક મળી આવ્યા તેની સાથે એક સંદેશો પણ મળી આવ્યો હતો, જે ભાજપને સંબોધન કરીને લખવામાં આવ્યું હતું. આપને જણાવી દઇએ કે, ગઇકાલે જોવા મળેલ ISIS ના વખાણ કરતા લખાણો અને આજે મળી આવેલ વિસ્ફોટકોને પગલે પોલીસ વધુ સતર્ક થઇ છે અને તપાસ હાથ ધરી છે. મળી આવેલ સંદેશામાં લખવામાં આવ્યું હતું કે, વિસ્ફોટકોને કેટલાક લોકોને સોંપવાની જરૂર છે જે ભાજપ સરકારને દેખાડે તે શું કરી શકીએ છીએ.