મુંબઇ: મહારાષ્ટ્રમાં ભાજપના જ એક નેતાએ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્ય સરકારમાં પૂર્વ મંત્રી અને વરીષ્ઠ નેતા એકનાથ ખડસેએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉંદર મારવા માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટને લઈ મુખ્યમંત્રી સામે નિશાન સાધ્યું છે. રાજ્યમાં એક નવો જ ગોટાળો સામે આવી શકે છે.
રાજ્ય સરકાર દ્વારા ઉંદર મારવા માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને આ કંપનીએ દાવો કર્યો છે કે 7 દિવસમાં તેણે 3 લાખ 19 હજાર 400 ઉંદરને માર્યા છે. ત્યારે કંપનીના દાવા સામે ખડસેએ કહ્યું છે કે માત્ર 7 દિવસમાં જ આટલા બધા ઉંદર મારી દેવામાં આવ્યા..?
જે મંત્રાલય દ્વારા આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેના પ્રમુખ ખુદ મુખ્યમંત્રી છે અને આ એક મોટું કૌભાંડ થયું છે. આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. તો ખડશેએ વધુ કહ્યું કે BMC 2 વર્ષમાં 6 લાખ ઉંદર મારે છે. જ્યારે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં કંપનીએ માત્ર 7 દિવસમાં 3 લાખથી વધુ ઉંદર મારી નાંખ્યા છે.