પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સ્વીકાર્યું છે કે મુંબઇ હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનની જમીન પર રચવામાં આવ્યું હતું અને અમારી સરકાર 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડને ન્યાયના કઠેરામાં લાવવા માંગે છે અને તે પાકિસ્તાનના હિતમાં છે. ઇમરાન ખાનના આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે નરેન્દ્ર મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આતંક અને વાતચીત એક સાથે થઇ શકે નહીં.
ગત મહિને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાનની સાથે ત્યાં સુધી વાતચીત શરૂ થઇ શકે તેમ નથી જ્યાં સુધી તે ભારત વિરુદ્ધ સરહદ પાર આતંકી ગતિવિધિઓને બંધ ન કરી દે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદને લઇને ખરાબ રીતે નિંદાનો સામનો કરનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાને જુલાઇમાં ચૂંટણી જીત્યા બાદ પોતાના પહેલા સંબોધનમાં કહ્યું હતું કે ભારત એક પગલું ભરશે તો અમે બે કદમ ભરીશું.
પોતાના નવા નિવેદનમાં તેમણે કહ્યું છે કે ઇસ્લામાબાદ નવેમ્બર 2008માં મુંબઇ હુમલાના દોષિત આતંકીઓને સજા અપાવવા માંગે છે. 26 નવેમ્બર 2008ના દિવસે હથિયારોથી સજ્જ લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના 10 આતંકીઓએ મુંબઇ પર આતંકી હુમલો કર્યો હતો અને શહેરના ઘણા વિસ્તારોને પોતાનું નિશાન બનાવ્યું જેમાં ઐતિહાસિક તાજ હોટલનો પણ સમાવેશ થાય છે. આ આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા જ્યારે 300થી વધારે ઘાયલ થયા હતા.