ઈન્ડિગો એરલાઈન્સના વિમાનનું આજે એકાએક નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 7074 અમદાવાદથી નાગપુર થઈને લખનઉ જઈ રહી હતી. આ વિમાને અમદાવાદથી સવારના 7.15 કલાકે ઉડાન ભરી હતી. આ પ્લેનમાં 50 મુસાફરો અને 4 સ્ટાફ મેમ્બર થઇને કુલ 54 લોકો સવાર હતાં. દરમ્યાન પાયલટે વિમાનમાં ધુમાડો જોતા એકાએક વિમાનનું સવારના 8 વાગીને 33 મિનિટે નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
જો કે હાલમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર સામે નથી આવી રહ્યાં. મુસાફરોને સુરક્ષિત ટર્મિનલ પર ખસેડી લેવાયા છે. પરંતુ હાલમાં તપાસ માટે વિમાનમાં એન્જિનિયરની ટીમ હાજર છે. મુસાફરોને તેમની સુવિધા અનુસાર નાગપુર, દિલ્હી અથવા લખનઉ લઈ જવામાં આવી રહ્યાં છે. તો કેટલાંક મુસાફરોએ તો પોતાની આગળની મુસાફરી પણ સ્થગિત કરી દીધી છે.
અગાઉ ઝારખંડમાં પણ ટેક્નિકલ ખરાબીના કારણે ફ્લાઇટ રદ કરાઇ હતી
આ પહેલાં ઝારખંડના રાંચી સ્થિત બિરસા મુંડા એરપોર્ટ પર શનિવારના (2 એપ્રિલ) ના રોજ ઇન્ડિગોના કોલકાતા જઇ રહેલા વિમાનમાં મુસાફરી દરમ્યાન આવેલી ટેક્નિકલ ખરાબીના કારણે તે ફ્લાઇટ રદ કરાઇ હતી. રાંચી એરપોર્ટના નિર્દેશક વિનોદ શર્માએ જણાવ્યું કે, ઇન્ડિગોની ફ્લાઇટ સવારના નવ વાગીને પાંચ મિનિટ પર કોલકાતા જવા રવાના થઇ ગઇ હતી. એ જ સમયે તેનું AC એકાએક બંધ થઇ ગયું હતું અને જોરદાર અવાજ સંભળાયો હતો, જેનાથી વિમાનમાં સવાર મુસાફરો ગભરાઇ ગયા હતાં.
તેઓએ જણાવ્યું કે, તુરંત પાયલટે વિમાનને રોકી તેને પાર્કિંગમાં લઇ જવામાં આવ્યું હતું અને તમામ યાત્રીઓને ઉતાર્યા બાદ વિમાનની તપાસ કરવામાં આવી, તો AC ખરાબ હોવાનું જાણવા મળ્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે, ઇન્ડિગોના ATR-72 વિમાનને રિપેર કરી લેવાયું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ઘટનાના સમયે વિમાનમાં 62 યાત્રીઓ સવાર હતાં. દુર્ઘટનામાં કોઇને પણ જાનહાનિ ન હોતી થઇ. જો કે, દુર્ઘટના વિશે ઇન્ડિગો તરફથી કોઇ જ ઓફિશિયલ નિવેદન ન હોતું કરવામાં આવ્યું.