ભારતના ચૂંટણી પંચ (EC) એ દેશમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે મોકૂફ ચૂંટણીઓ યોજવાનો માર્ગ શોધવાનું શરૂ કર્યું છે. ચૂંટણી કમિશન આ માટે દક્ષિણ કોરિયાના ચૂંટણી મોડેલની તપાસ કરી રહ્યું છે, જ્યાં રોગચાળો હોવા છતાં સંસદીય ચૂંટણીઓ યોજાઇ છે. આયોગે સંકેત પણ આપ્યો છે કે તે દક્ષિણ કોરિયાની તર્જ પર ચૂંટણી પ્રક્રિયામાં જરૂરી ફેરફાર કરવા પણ તૈયાર છે.
કોરોના વાયરસના કહેર વચ્ચે ચૂંટણી યોજવા EC ની વિચારણા
ચૂંટણી યોજવા માટે દક્ષિણ કોરિયાના ચૂંટણી મોડેલની સમીક્ષા
દેશમાં રાજ્યસભાની ચૂંટણી માર્ચમાં કરાઇ હતી રદ
ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ગુરુવારે કહ્યું કે, અમારા લોકો ચૂંટણી યોજતી વખતે દક્ષિણ કોરિયા વતી પ્રક્રિયામાં થયેલા ફેરફારોનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી દરમિયાન જે સુધારા કરવામાં આવ્યાં હતાં તે તમામની પણ EC કાળજી લેશે. જો કોરોના વાયરસ રોગચાળો જલ્દીથી સમાપ્ત થતો નથી, તો તે ચૂંટણી પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયાને અસર કરશે તેના પર પુછવામાં આવેલા સવાલના જવાબમાં લવાસાએ ઉમેર્યું હતું કે, દેશના આરોગ્ય અધિકારીઓ અને અન્ય હોદ્દેદારોની સલાહ લીધા પછી તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. જો કે, તેમણે ઉમેર્યું કે તે વર્તમાન પરિસ્થિતિ કેટલા સમય સુધી ખેંચાય છે તેના પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે આ ક્ષણે તે કહેવું બહુ વહેલું છે કે કોવિડ -19 ભવિષ્યની ભારતીય ચૂંટણીને અસર કરશે.
જો કે ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત માને છે કે ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીમાં વાયરસની કોઈ અસર નહીં પડે. તેમણે કહ્યું કે, આ પહેલા પણ રોગચાળો ઘણી વખત ફેલાયો છે, પરંતુ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યા વિના ચૂંટણીઓ યોજવામાં આવી છે. પરંતુ અન્ય ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદી સલાહ આપી છે કે ચૂંટણી પંચે ચૂંટણી કરાવવા માટે પ્રમાણભૂત કાર્યપદ્ધતિઓની સમીક્ષા કરવી જોઇએ અને તેના માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવી જોઇએ.