જેતપુરના પ્રદુષણના પાપીઓનું પ્રદુષણ હવે નદી, નાળા, ખેતરો છોડીને લોકોના ઘર અને દુકાન સુધી પહોચ્યું છે. આ પ્રદુષણને હિસાબે નાના દુકાનદારનો ખાદ્ય અનાજનો જથ્થો બગડી ગયો અને દુકાન કેમિકલના પ્રદુષણથી ભરાય ગઈ છે.
ભ્રષ્ટ અધિકારીઓના કારણે પ્રદૂષણ ફેલાવનારા કેમિકલ માફિયા જનતાના સ્વાસ્થ સાથે તો ચેડા કરે જ છે. સાથે-સાથે ખુલ્લેઆમ ધમકીઓ પણ આપે છે. જ્યાં એક દુકાનદારે વિરોધ કર્યો તો માફિયાએ સેટિંગ પાડવાની લાલચ આપી. તે લાલચમાં વ્યક્તિ ન આવ્યો ધમકી પણ આપી.
શું છે ભ્રષ્ટ અધિકારીઓના કારણે, ગુંડાઓની વધતી દાદાગીરી?
જેતપુરનો સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગ જગ વિખ્યાત છે તેવી જ રીતે આ ઉદ્યોગો દ્વારા કરવામાં આવતું પાણીનું પ્રદુષણ પણ એના જેટલું જ વિખ્યાત છે. આજે શહેરના જુના પાંચ પીપળા રોડ ઉપર આવેલ કલ્યાણી ડાઈગ નામના કારખાના દ્વારા અતિ જલદ કેમિકલ અને સિલિકેટવાળું પાણી ગટરની ચેનલમાં છોડવામાં આવ્યું હતું. તે ગટર છલકતા તેની બાજુમાં આવેલ લોટ દળવાની ચકીમાં ઘુસી જતા દુકાનમાં રાખેલ ઘઉંનો તૈયાર લોટનો મોટો જથ્થો બગડી ગયો હતો.
આ કલ્યાણી ડાઈગ દ્વારા આ આવું પ્રદુષણ રોજેરોજ કરવામાં આવે છે. શહેરના જુના પાંચ પીપળા રોડ ઉપર આવેલ આ કલ્યાણી ડાઈગ દ્વારા પ્રદુષણ કરવું અને લોકોને હાનિકારક રીતે છોડી દેવું તે રોજનું છે. સ્થાનિક લોકો દ્વારા આ બાબતે તમામ સ્તરે રજુઆત કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ને લેખિત અને મૌખિક રજુઆત કરી ચુક્યા છે પરંતુ આ પ્રદુષણનો પાપી પૈસા ન જોરે બધાને દબાવી દે છે અને જે કરવું હોય તે કરવાનું કહે છે.
જેતપુરના આ પ્રદુષણના પાપીને જ્યારે આ બાબતે પત્રકાર દ્વારા પૂછવામાં આવતા રોફ ઝાડ્યો હતો. તે કહે છે કે 'જે કરવું હોય તે કરી લો અને જ્યાં જવું હોય ત્યાં જાવ, હું બધાને પૈસા આપું છું મારુ કાઈ નહિ બગડે' આટલાથી નહિ અટકીને VTVના પત્રકારને પણ તમે પણ પૈસા લઈ જાવ કહીને ખરીદવાની વાત કરી હતી.
પૈસા ન જોરે કૂદતાં આ પ્રદુષણના આ પાપીઓનું પાપ હવે લોકોના ઘર અને દુકાનમાં ઘુસી રહ્યું છે. જાહેર આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે ત્યારે સરકાર આ માલદાર પ્રદુષણના પાપીને સજા કરે અને નાના લોકોના હિત અને તદુરસ્તીની રક્ષા કરે તે જરૂરી છે.