શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણના 'નિધિ સમર્પણ અભિયાન'નો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નિધિ સમર્પણ અભિયાન 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી યોજાશે. પ્રથમ દિવસે કેન્દ્રીયમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે આવી દાન આપ્યું હતું. આ સિવાય અનેક લોકોએ રામ મંદિરના નિર્માણ માટે મહાદાન કર્યું છે. તો જાણો કોણે કેટલું દાન કર્યું...
શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના અભિયાનનો આજથી પ્રારંભ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌથી પહેલા સમર્પણ નિધિ આપ્યું
અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિર માટેની 'નિધી સમર્પણ અભિયાન'નો આજથી(શુક્રવાર) શરૂ થયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌથી પહેલા સમર્પણ નિધિ આપ્યું છે. આ અભિયાનની શરૂઆત થતા 5 લાખ 100 રૂપિયાનું તેમણે દાન કર્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક પ્રતિનિધિમંડળ દાન માંગવા તેમની પાસે પહોંચ્યું હતું. ત્યારે હવે ગુજરાતમાં પણ નિધિ સમર્પણ અભિયાન હેઠળ દાનની સરવણી વહેતી થઇ છે. અમદાવાદના હીરા વેપારી ગોવિંદભાઇએ 11 કરોડનું દાન આપ્યું છે.
ગુજરાતથી કોણે કેટલું દાન કર્યું?
ભવ્ય મંદિર નિર્માણ અભિયાનના 30 કાર્યક્રમો ઉતર ગુજરાત પ્રાંતમાં યોજાશે. ત્યારે અભિયાનની શરૂઆત પહેલા જ દાન આવી રહ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી માધવ પ્રિયદાસજી દ્વારા મંદિરના નિર્માણ કાર્ય માટે રૂ. 51 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. જયંતીભાઈ કબુતરાવાલાએ 5 કરોડનું દાન કર્યું. ગોવિંદ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું. લવજી બાદશાહે 1 કરોડનું દાન કર્યું. શંકરભાઇ પટેલે 51 લાખનું દાન કર્યું અને દિલીપભાઇ પટેલે 21 લાખનું દાન કર્યું છે. ધારાસભ્ય બાબુ જમના પટેલે 11 લાખનું દાન કર્યું છે. ન્યુ ક્લોથ માર્કેટના ગૌરાંગ ભગતે 11 લાખ આપ્યા છે. ગોરધન ઝડફિયા દ્વારા 5 લાખનું દાન આપ્યું છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 1 લાખ 11 હજાર 111નું દાન આપ્યું છે.
મોરારી બાપુના આહ્વાન બાદ રામ મંદિર નિર્માણ માટે 11 કરોડથી વધુનું દાન મળ્યું
અગાઉ કેન્દ્ર સરકારે એક રૂપિયાનું દાન આપ્યું છે, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 11 લાખ રૂપિયા, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 1 કરોડ દાન આપ્યું છે.તો રામ મંદિરના નિર્માણ માટે કથાકાર મોરારિબાપુએ કુલ રૂ.11 કરોડનું ફંડ એકત્ર કર્યુ છે. ભાવનગરના મહુવા રામકથા દરમિયાન મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી રામ મંદિર માટે 5 કરોડનું દાન એકત્ર કરવા આહવાન કર્યું હતું. આ જાહેરાત બાદ શ્રોતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. વિદેશમાં વસતા ગુજરાતીઓએ રામ મંદિરના નિર્માણ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે.આ સંપૂર્ણ રકમ અયોધ્યા રામમંદિર નિર્માણ માટે મોકલવામાં આવી.
ફાળો એકત્ર કરવાના આ અભિયાનમાં દેશના 12 કરોડ હિંદુ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે
મહત્વનું છે કે, રામ મંદિર માટે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ આજથી શરૂ થઈ છે. આ અભિયાન અંતર્ગત પાંચ લાખથી વધુ ગામના 12 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. મંદિર નિર્માણ માટે ભંડોળ ઉભું કરવાનું કામ 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદને રામ મંદિર નિર્માણ માટે લોકોનું સમર્પણ અને સમર્થન મળશે. આ સમય દરમિયાન 10 રૂપિયા, 100, 1000 રૂપિયાના કુપન્સ હશે. તે જ સમયે, 2,000થી વધુ સહકારીઓને એક રસીદ આપવામાં આવશે. આ દાન દ્વારા અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે.