મહાકાળી માંના જયઘોષ સાથે પાવાગઢ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું
દિવાળીને લઇ આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક સુપ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામેલી જોવા મળી છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો માતાજીના કે ભગવાનના દર્શન કરવા મંદિરે જઇ પહોંચ્યા છે. ત્યારે જોઇએ કે આજે કયા મંદિરમાં લોકોની કેટલી ભીડ જામી છે.
મહુડીમાં હજારો દર્શનાર્થીઓએ ઘંટાકર્ણના દર્શન કરી ધન્યતા અનુભવી
સૌ પ્રથમ વાત કરીએ ગાંધીનગરના મહુડી મંદિરની તો મહુડીમાં વહેલી સવારથી જ ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું છે. હજારો દર્શનાર્થીઓ દર્શન માટે મંદિરે પહોંચી ગયા છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનની પ્રક્ષાલ પૂજા કરવામાં આવી. આ પ્રક્ષાલ પૂજા વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે. તદુપરાંત બપોરની 12 વાગ્યાની વરખ પૂજાને લઇને પણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે. વરખ પૂજા બાદ મહુડીમાં હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
— Shri Hanuman Temple - Salangpur (@kashtbhanjandev) October 24, 2022
દિપાવલીના તહેવારને લઈ સોમનાથમાં પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. 2 વર્ષ બાદ દિવાળીના તહેવારમાં સોમનાથમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે.
સોમનાથ ટ્રસ્ટ સંચાલિત મોટાભાગના અતિથિ ગૃહો ફુલ થઇ ગયા છે.
મહાકાળી માંના જયઘોષ સાથે પાવાગઢ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યું
દિવાળી નિમિત્તે શક્તિપીઠ પાવાગઢમાં પણ ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું છે. પાવાગઢ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. દિવાળીના દિવસે માં મહાકાળીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે પાવાગઢ ખાતે વહેલી સવારના 4 વાગ્યાથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. મહાકાળી માંના જયઘોષ સાથે મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યું હતું.
અમદાવાદીઓએ પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી
આ સિવાય અમદાવાદના જગન્નાથ મંદિરે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ દર્શન કરવા પહોંચ્યા હતા. આજે ભગવાનને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે આ સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આજના આ દિવાળીના પાવન પર્વને લઇ અમદાવાદીઓએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તદુપરાંત દિવાળી નિમિત્તે મંદિર દ્વારા વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ભદ્રકાળી માતાના મંદિરે પણ દર્શન માટે ભારે ભીડ ઉમટી
આજે દિવાળી, વિક્રમ સંવત 2078નો આખરી દિવસ છે ત્યારે અમદાવાદીઓમાં દિવાળીની ઉજવણીને લઇ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાય લોકો આજનાં દિવસે વહેલી સવારે અમદાવાદની નગર દેવી ગણાતા ભદ્રકાળી માતાના મંદિરે દર્શન માટે ભારે ભીડ ઉમટી પડી હતી. એવું કહેવાય છે કે આજે ભદ્રકાળી માતાજીનો લક્ષ્મીજીનાં સ્વરૂપમાં શૃંગાર કરવામાં આવ્યો હતો. આવનારા નવા વર્ષને વધાવવા માટે લોકોમાં ઉત્સાહ પણ અનેરો વર્તાતો હતો. આગામી વર્ષ સુખદ રીતે પસાર થાય તેની માટે ભાવિકો માતાજીના આશીર્વાદ મેળવવા ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પધાર્યા હતા.
સુરતના પ્રખ્યાત અંબિકાનિકેતન મંદિરમાં પણ ભક્તોનો ભારે ધસારો
સુરતમાં પણ દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતના પ્રખ્યાત અંબિકાનિકેતન મંદિરમાં પણ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. ખૂબ જ મોટી સખ્યામાં અહીંયા લોકો માતાજીના દર્શન માટે ઉમટ્યા હતા. ભક્તોએ માતાજીની પૂજા-આરતી કરી ધન્યતા અનુભવી હતી.