અમદાવાદઃ પાટીદાર આંદોલન સમિતિ દ્વારા આજે એક દિવસના ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી. પાસ કન્વીનર હાર્દિક પટેલની અધ્યક્ષતામાં પાસ દ્વારા આજે 1 દિવસના ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેના ભાગરૂપે પાસના કન્વીનરો આજે 1 દિવસ માટે ઉપવાસ કરવાના હતા.
પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાર્દિક પટેલની તેના નિવાસ સ્થાનેથી જ અટકાયત કરવામાં આવી છે. હાર્દિક પટેલ અને મનોજ પનારા અલ્પેશ કથીરિયા સહિતના 200થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પાસના કન્વીનરો નિકોલના મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કરવાના હતા.
જો કે હાર્દિક પટેલ ગ્રાઉન્ડમાં પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા ગ્રાઉન્ડ ખાતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા હાર્દિક અને તેના સમર્થકોના કાફલાને અટકાવ્યો હતા. જેને લઇને હાર્દિક અને સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.
હાલ નિકોલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નિકોલ વિસ્તારના તમામ રસ્તાઓ પર બેરીકેટ સાથે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. નિકોલ પાર્કિંગ ઝોનના દરવાજા પણ બંધ કરાયા છે.
હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપી
હાર્દિક પટેલ ઉપવાસ માટે ઘરેથી નિકોલ જવા નિકળ્યા હતા. તે સમયે પોલીસ દ્વારા તેમની અને તેમના સમર્થકોની અટકાયત કરાઇ હતી. જે દરમિયાન અટકાયત પહેલા હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે ઝપાઝપી સર્જાઇ હતી. જ્યારે સમર્થકોની પોલીસ સાથે બોલાચાલી પણ થઇ હતી.
હાર્દિકના ઘર તરફ જતા રસ્તા પર પોલીસ કાફલો ખડકી દેવાયો
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ એક દિવસીય પ્રતિક ઉપવાસ કરવા જઈ રહ્યા હતા. તેમને ઉપવાસ માટે જગ્યા ન મળતા હાર્દિક પટેલે પોતાના જ નિવાસ સ્થાને ઉપવાસ કરવાની વાત કરી હતી. હાર્દિક પટેલે પોતાના જ નિવાસ સ્થાને પ્રતિક ઉપવાસની વાત કરતા હાર્દિક પટેલના ઘર તરફ આવવા જવાના રસ્તા પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ત્યાંથી પસાર થતા તમામ વાહનોનું પણ પોલીસ ચેકિંગ હાથ ધરાયુ હતું.
બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વસ્ત્રાલ અને નિકોલ વિસ્તારમાંથી 40 જેટલા પાસ કાર્યકરોની અટકાયત કરી હતી. અહીં રાજ્યભરમાંથી પાસના કન્વીનરો અમદાવાદ ખાતે આવી રહ્યો છે. પોલીસ દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે પરથી જૂનાગઢ પાસના કન્વીનર અમિત પટેલની અટકાયત કરાઈ હતી. પોલીસે અમિત પટેલ સહિત 5 લોકોની અટકાયત કરી હતી. મહત્વનું છે કે હાર્દિક પટેલની પણ આજે અટકાયત કરવામાં આવી છે.
મહત્વનુ છે કે હાર્દિક પટેલ દ્વારા 25 ઓગસ્ટથી અમરણાંત ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે. જોકે તંત્ર દ્વારા અત્યાર સુધી આમરણાંત ઉપવાસ માટે મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે તંત્ર હાર્દિક પટેલ દ્વારા 1 દિવસના ઉપવાસ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.