દુનિયાભરમાં લાખો-કરોડો લોકો હાર્ટએટેકથી બચવા માટે એસ્પિરિનની ગોળી લે છે. જેમને હાર્ટએટેક આવી ગયો હોય અથવા તો હાર્ટની કોઇ સમસ્યા હોય તેને ડોકટર દરરોજ એસ્પિરિન લેવાનું કહે છે. જોકે જેમને હાર્ટની કોઇ સમસ્યા નથી અને એકંદરે હેલ્ધી છે તેમના માટે એસ્પિરિન હાનિકારક છે.
હાર્વર્ડ એન્ડ બેથ ઇઝરાયલ ડેકન્સ મેડિકલ સેન્ટરના એક રિસર્ચ મુજબ અમેરિકામાં 2017માં 40 કે તેથી વધુ વયના 2.9 કરોડ લોકો કે જેમને હાર્ટની કોઇ બિમારી ન હતી તેઓ દરરોજ એસ્પિરિન લેતા હોવાનું જાણવા મળ્યુ હતું. જેમાંના 66 લાખ લોકોએ તો ડોકટરને પુછયા વિના જાતે જ એસ્પિરિન લેવાનું શરુ કરી દીધું હતું. એસ્પિરિન લોહી પાતળું કરે છે. તેથી વર્ષોથી ડોકટરો હાર્ટએટેકનું જોખમ ઘટે તે માટે દર્દીઓને તે લેવાની ભલામણ કરતા આવ્યા છે.
ગત વર્ષે ત્રણ નવા રિસર્ચમાં આ પ્રેકટિસને ચેલેન્જ કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે માત્ર એસ્પિરિન લેવાથી હાર્ટએટેકના જોખમ સામે એટલું રક્ષણ મળતું નથી. બીજી બાજુ તેનાથી આંતરડામાં લોહી પડવા જેવી આડઅસરો થાય છે. આ રિસર્ચના પગલે અમેરિકન હાર્ટ એસોસિએશન અને અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીએ ગાઇડલાઇન્સમાં ફેરફાર કર્યો હતો.
નવી ગાઇડલાઇન મુજબ હાર્ટની બિમારી ન હોય તેવા લોકો અને જેમને આંતરિક રકતસ્ત્રાવ (ઇન્ટરનલ બ્લીડીંગ) થવાની શકયતા હોય તેમણે એસ્પિરિન ન લેવી જોઇએ. હાર્ટની બિમારી ન હોય તેવા 40 થી 70ની વયજુથના લોકો દરરોજ 75થી 100 મિલિગ્રામનો ડોઝ લે તો જોખમી છે. એસ્પિરિનનો ડોઝ ડોકટરે જ દર્દીના રિપોર્ટના આધારે નક્કી કરવો જોઇએ. નવા રિસર્ચથી હવે એટલું તો સ્પષ્ટ છે કે નિર્દોષ મનાતી એસ્પિરિન પણ જોખમી બની શકે છે.