દિલ્હીમાં અનુપ ખન્ના નામના એક સામાજિક કાર્યકર દ્વારા ચાલી રહેલા દાદી કી રસોઈમાં જરૂરિયાતમંદોને 5 રૂપિયામાં ભોજન અને 10 રૂપિયામાં કપડા આપવામાં આવે છે.
શહેર દિલ્હી! વિસ્તાર નોએડા સેક્ટર 29! અહીં એક એવું સ્થળ છે જ્યાં દરેક ભૂખ્યો વ્યક્તિ સંતૃપ્ત થઇને જાય છે. આપણે વાત કરી રહ્યા છે 'દાદી કી રસોઈ'ની! અહીં 5 રૂપિયામાં દેશી ઘીમાંથી બનેલું સ્વાદિષ્ટ ભોજન પીરસાય છે.
અનુપની માતાને આ વિચાર આવ્યો હતો
આ પ્રવૃત્તિ અનુપ ખન્ના દ્વારા શરુ કરવામાં આવી છે. તેમના માતા એક તેમના પરીવાર સાથે જમી રહ્યા હતા ત્યારે તેમણે વિચાર કર્યો કે તેમણે ગરીબોને જમવાનું મળી રહે તે માટે પણ કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. ઘરમાં જ ગરીબોને મફતમાં ભોજન પીરસવાથી શરુ થયેલી આ પ્રવૃત્તિમાં આસપાસના દુકાનવાળા પણ જોડાયા. ધીમે ધીમે મોટા વાસણો, ગેસ, સ્ટવ વગેરે ખરીદવામાં આવ્યો.
દરેક દિવસ માટે અલગ અલગ મેનુ
આજે દાદી કી રસોઈમાં 5 રૂપિયાના ભાવે દરરોજ 500થી વધુ લોકોને જમવાનું મળે છે. અહીં સમાજના કોઈ પણ વર્ગના લોકોને ખાવાનું મળી રહે છે. અહીં દરેક દિવસ માટે અલગ અલગ મેનુ હોય છે. અહીં દાળ, કાળા ચણા, સફેદ ચણા, ભાત, શાક અને અથાણું જેવી વસ્તુઓ પીરસાય છે. રવિવારે ખીચડી પીરસાય છે.
ખાવાનાની ગુણવત્તા અહીંની સૌથી પહેલી પ્રાથમિકતા
આટલા સસ્તામાં ખાવાનું પીરસવા પછી ખાવાનાની ગુણવત્તા અહીંની સૌથી પહેલી પ્રાથમિકતા છે. અહીં ખાવાનું બનાવવાની જગ્યાએ 4 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. અનુપ પોતે રેકોર્ડિંગ ઉપર નજર રાખે છે. તેમનું માનવું છે કે જરૂરિયાત મંદો પાસેથી 5 રૂપિયાની નાનકડી રકમ લેવાથી તેમનું આત્મ સન્માન જળવાય છે. બિલકુલ મફત ખાવાનાથી ઘણી વાર સામે વાળાને દરિદ્ર હોવાની લાગણી આવી શકે છે.
જરૂરિયાતમંદોને ફક્ત 10 રૂપિયામાં કપડા આપવામાં આવે છે
આ ઉપરાંત અહીં જરૂરિયાતમંદોને ફક્ત 10 રૂપિયામાં કપડા આપવામાં આવે છે. આ માટે અનુપ ખન્ના કહે છે કે અહીંના સુખી પરિવારો અમને જે કપડા વપરાતા ન હોય તેવા કપડા દાન આપે છે. અમે તેણે ઈસ્ત્રી કરીને, તેણે ફરીથી પેક કરીને ગરીબોને આપીએ છીએ. તેઓ કહે છે કે અમે કપડા આપ્યા પછી તેમનો ફોટો પાડી લઈએ છીએ જેથી તેનો દુરુપયોગ ન થાય.
અનુપ કહે છે કે અમારી જેમ જો અલગ અલગ શહેરોમાંથી લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો સાચા અર્થમાં દેશમાંથી ગરીબી નિવારણ થઇ જાય.